TV9 Exclusive: જય નારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ કહ્યુ- મારી પાસે કોંગ્રેસ અને AAP બે વિકલ્પ, બે-ત્રણ દિવસમાં નિર્ણય જાહેર કરીશ
થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે (Jayanarayan Vyas) અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના સીએમ અને ગુજરાત કૉંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વ્યાસ સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના સીએમ અને ગુજરાત કૉંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધ બારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી.
ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે જયનારાયણ વ્યાસે TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું છે કે તેમની પાસે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે વિકલ્પ છે. કયા પક્ષમાં જવું તે અંગે હજુ તેમણે કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ 2થી 3 દિવસમાં જ તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે.
સવાલ – ત્રણ દાયકા કરતા વધુ સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છો. અચાનક શું થયુ તે રાજીનામું આપવુ પડ્યુ ?
જવાબ- હું નારાજ નથી, પણ દુ:ખી છુ. હું જે ધ્યેય લઇને રાજકારણમાં આવ્યો છું તે સિદ્ધપુરનો વિકાસ છે. હું અમદાવાદમાં આવ્યો ત્યારે જ્યાંથી ટિકિટ માગતો ભાજપ આપતી તેવી પરિસ્થિતિ હતી. પણ દુ:ખ એ વાતનું છે કે ભાજપના જિલ્લા સંગઠને ભાજપનો જિલ્લામાં વિકાસ થાય અને સંગઠન મજબુત થાય તે માટે કામ કરવુ જોઇએ. તેના બદલે અત્યારે ત્યાંના પ્રમુખ અને અત્યારે એક મંત્રી જે ત્યાં ગયા છે અને ચૂંટણી લડવા ઇચ્છુક છે. તેમણે હયાત માણસોને કેવી રીતે નબળા પાડવા તે જ કામ કર્યુ છે.
સવાલ -તમારા દ્વારા પ્રદેશ અધ્યક્ષ કે અન્ય કોઇ સમક્ષ આ અંગે રજુઆત કરવામાં આવી હતી ?
જવાબ- હું શિસ્તવાળો માણસ છુ. પણ મે અમિતભાઇને પણ આ દિશામાં માહિતગાર રાખ્યા હતા. અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે પણ રસ લઈને બધુ સમુ સુથરૂ કર્યુ હતું. પણ દર વખતે તેમના કાર્યકરોની અવગણના થાય અને વારંવાર તેમાં પ્રદેશ અધ્યક્ષને કહેવું તે યોગ્ય નથી.