Gujarat Assembly Election : બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં
વિધાનસભાના ચૂંટણી સંગ્રામમાં આ વખતની લડાઈ પરિવર્તન સામે પુનરાવર્તનની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારશે, તેના પર સૌ કોઈની નજર હાલ મંડરાયેલી છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી ગુજરાતની ‘ગાદી’ જીતવા પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો નોંધાયા છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો નોંધાયા છે.
બીજા તબક્કામાં 400થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યુ
આપને જણાવી દઈએ કે, 21 નવેમ્બરે બીજા તબક્કાના ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં બીજા તબક્કામાં 400થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. જેથી બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો હાલ મદાનમાં છે તેમ કહી શકાય.મહત્વનું છે કે, 1 ડિસેમ્બરે પ્રથમ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.
ચૂંટણી સંગ્રામમાં બરાબરની લડાઇ જામી
વિધાનસભાના ચૂંટણી સંગ્રામમાં બરાબરની લડાઇ જામી છે. ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. એક તરફ ભાજપે પ્રચારમાં કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને AAP ના ટોચના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
ચૂંટણીના રણમેદાનમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં ઉતર્યા છે. દક્ષિણ ગુજરાતના રણમેદાનમાં આદિવાસીઓની સમસ્યાઓને લઇને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખુબ કામગીરી થઇ. જેની સામે રાહુલ ગાંધી કહ્યું કે, ભાજપની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર છે.