Gujarat Election 2022 : બીજા તબક્કા માટે ભાજપનો આક્રમક પ્રચાર, 93 બેઠક પર જનસભા સંબોધશે ભાજપના મહારથીઓ
ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સત્તા કાયમી રાખવા આક્રમક પ્રચાર કરી રહી છે, આજે ભાજપના ટોચના નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : આજે દિવસભર ભાજપનો ચૂંટણી પ્રચાર ચરમસીમાં પર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે. આજે ભાજપના ટોચના નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભા સંબોધશે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે.
પ્રચારની ધૂરા સંભાળશે ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન
તો હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે. જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.
કેન્દ્રના 13 અને પ્રદેશના 4 નેતાઓ સભા ગજવશે
અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ભાજપના મોટા નેતાઓ આજે અમદાવાદમાં ધામા નાખવાના છે. કેન્દ્રના 13 અને પ્રદેશના 4 નેતાઓ અમદાવાદમાં પ્રચંડ પ્રચાર કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રાત્રે 8 કલાકે નિકોલમાં સભા સંબોધશે. તો બીજી તરફ હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર વેજલપુર અને નારણપુરામાં સભા ગજવશે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલ દાણીલીમડામાં સભા કરશે..
ગજેન્દ્રસિંહ શેખાવત અસારવા અને અજય ભટ્ટ ઘાટલોડિયા બેઠક પર સભા કરશે. આસામના મુખ્યપ્રધાન હિમાંત બિસવા શર્મા નરોડા અને દરિયાપુર સભા કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મણિનગર સભા કરશે.. સાંસદ મનોજ તિવારી બાપુનગર અને જમાલપુરની સભા ગજવશે. તો બીજી તરફ મનસુખ માંડવીયા વટવા ખાતે સભા કરશે. પરષોત્તમ રૂપાલા ઠક્કરબાપાનગર અને નીતિન પટેલ અમરાઈવાડીમાં સભા કરશે. અભિનેતા મનોજ જોષી એલીસબ્રીજ ખાતેની સભામાં પ્રચાર કરશે.