TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન, ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ નહીં ચાલે
Gujarat Election 2022: TV9 ગુજરાતીના કાર્યક્રમ સત્તા સંમેલનમાં અલ્પેશ ઠાકોરે અનેક મુદ્દા પર વાત કરી. જેમા ગુજરાતની ચૂંટણીમાં ભાજપની જંગી લીડ સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો તો બીજી તરફ તેમણે આમ આદમી પાર્ટી અંગે જણાવ્યુ કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચાલ્યો નથી.
TV9ના વિશેષ ચૂંટણીલક્ષી કાર્યક્રમ સત્તા સંમેલનમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ફરી ભાજપની સરકાર રચાવાનો આશાવાદ વ્યક્ત કર્યો. બેઠક બદલવા મુદ્દે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે કોને ક્યાંથી ટિકિટ આપવી તેનો નિર્ણય હાઇકમાન્ડ કરે છે. મેં રાધનપુરથી ટિકિટ માગી હતી પરંતુ મને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી લડવા માટે જણાવવામાં આવ્યું. રાધનપુર અને ગાંધીનગર દક્ષિણ બંને બેઠક પર ભાજપની જીત થશે. ગુજરાતમાં ત્રીજા મોરચા અંગે અલ્પેશે જણાવ્યું કે ગુજરાતમાં સમયાંતરે ત્રીજો પક્ષ રચાતો રહ્યો છે પરંતુ તે ક્યારેય સફળ નથી થયો. ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ નહીં ચાલે – અલ્પેશ ઠાકોર
ગુજરાતમાં ત્રીજા પક્ષ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે ગુજરાતમાં ત્રીજા પક્ષ અંગે હું નહીં ગુજરાતીઓને પણ કંઈ ખબર નથી. ગુજરાતીઓ સ્વાભીમાની છે. આ એવુ માને છે કે ગુજરાતીઓને મફતની રેવડી ન ચાલે. જ્યારે જ્યારે કોઈ કુદરતી આપદા આવી છે, ગુજરાતીઓએ પોતાની ઝોળી ખોલી દીધી છે. ગુજરાતીઓ હંમેશા આપનારા ગુજરાતી રહ્યા છે. એ ગુજરાતીઓને લલચાવીને તમે કોઈ રાજનીતિ કરો એ શક્ય નથી.
આપ 5 થી 6 લાખ કરોડના રોજગારી બજેટની વાત કરે પરંતુ ગુજરાત સરકારનું બજેટ અઢી લાખ કરોડ
વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે આપ જે 5 થી 6 લાખ કરોડ રૂપિયાની રેવડી વેચવાની વાત કરો છે, તે શક્ય જ નથી. ગુજરાત સરકારનું બજેટ અઢી લાખ કરોડ છે. ગુજરાતને વેચી મારવાની વાત કરે છે. ગુજરાતીઓ દેવુ કરીને યાત્રા ન કરે પરંતુ બચત કરી પ્રસંગો પાર પાડે છે. અલ્પેશે ઠાકોરે ઉમેર્યુ કે જ્યાં ફાઉન્ડેશન નથી માત્ર લોભામણી વાતો છે. એ તો ક્યાંય ચિત્રમાં જ નથી. ગુજરાતમાં એ લોકો ક્યાંથી ખાતુ ખોલાવશે એ તો પૂછો પહેલા.
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપ સરકાર સતત લોકકલ્યાણના કામો કરે છે. એક સરકાર સાથે તેના કાર્યકર્તાઓની આખી ટીમ હોય એક સંગઠન પેરેલલ કામ કરે છે અને સરકાર પેરેલલ કામ કરે છે. જ્યાં પેજ પ્રમુખ 80 લાખથી વધુ હોય, જેના કર્મઠ કાર્યકર્તાઓની ટીમ હોય, મોદીનું સબળ નેતૃત્વ હોય. જે નેતૃત્વ સતત લોકો માટે કામ કરતુ હોય, તો લોકો બીજુ શા માટે વિચારે.
ભાજપની સરકારે ગુજરાતમાંથી ‘ભાઈરાજ’ ખતમ કર્યુ
27 વર્ષ પહેલા અમદાવાદનો કર્ફ્યુ પણ જનતાએ જોયો છે, ભગવાન જગન્નાથની નગરચર્યા નીકળે એટલે ચિંતા હોય કે અહીં કોઈ રથને રોકશે તો નહીં, કોઈ છમકલા તો નહીં થાય. ગુજરાતમાં અવારનવાર કોમી તોફાનો થતા હતા. સૌરાષ્ટ્રનો અલગ ડોન હોય, ઉત્તર ગુજરાતનો અલગ ડોન હોય, મધ્ય ગુજરાતનો અલગ ડોન હોય, આજે ગુજરાતના ભાઈરાજને ખતમ કરી દેવાયુ છે. આજની પેઢીને તો ખબર પણ નથી કર્ફ્યુ શું કહેવાય. એ ભૂલી ગયા છે. તો પછી આવા બીજા-ત્રીજા કોઈ નાની-નાની નવી-નવી લોભામણી લાલચો આપનારા આવતા હોય એવાની વાતોમાં ગુજરાતીઓ નહીં આવે.