Gujarat Election 2022 : ચૂંટણી પહેલા હજુ કેટલાક નેતાઓ કોંગ્રેસની ડૂબતી નાવમાંથી કૂદવાની ફિરાકમાં, ગમે ત્યારે આપી શકે છે ઝટકો
સૌરાષ્ટ્રના (Saurashtra) નેતા હર્ષ રિબડિયાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે, જો કે હજુ કેટલાક નેતાઓ કોંગ્રેસની ડૂબતી નાવમાંથી કુદી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા તોડજોડની રાજનિતી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં મહતમ બેઠકો હાંસલ કરવા રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે. આમઆદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસની સ્થિતિ વધુ કથળી રહી છે. સૌરાષ્ટ્રના (Saurashtra) નેતા હર્ષ રિબડિયાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા હજુ કેટલાક નેતાઓ કોંગ્રેસની ડૂબતી નાવમાંથી કૂદી ભાજપમાં (BJP) જોડાઈ તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.
ક્રોસ વોટિંગે કોંગ્રેસને આપ્યો હતો સંકેત
તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) એક મોટો ઝટકો મળ્યો હતો. ગુજરાત કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને દ્રૌપદી મૂર્મુને જીત અપાવી હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસે ક્રોસ વોટિંગ (Cross Voting) કરનાર નેતાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી 178 ધારાસભ્યોએ મત આપ્યા હતા. જેમાંથી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 121 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને 57 મત મળ્યા હતા. જોકે, ગુજરાતમાં કોંગ્રેસના 63 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે તેના કુલ 64 વોટ થાય છે. આમ, કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતુ.
ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડવાના એંધાણ
આ પહેલા જામજોધપુરના ચિરાગ કાલરીયા, જંબુસરના સંજયભાઈ સોલંકી, પાલનપુરના મહેશ પટેલ, જાલોદના ભાવેશ કટારા, ધોરાજીના લલિત વસોયા સહિતના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓની સાથે જાહેરમાં દેખાઈ રહ્યાં છે. જેના આધારે એવુ માનવમાં આવી રહ્યું છે કે, આ ધારાસભ્યો વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની નજીક સરકતા, સમય આવ્યે કેસરિયા ખેસ કરવાની વાતો વહેતી થઈ હતી. ભાજપ સહિત દરેક રાજકીય પાર્ટી વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election) જીતવા સામ, દામ અને દંડની નિતી અપવાની રહ્યું છે. જેથી હજુ પણ કેટલાક કોંગ્રેસી નેતાઓ હાથનો સાથ છોડી કેસરિયા કરે તો નવાઈ નહીં.