Surat : હિંદુ ધર્મને વિષય તરીકે ભણાવનારી VNSGU રાજ્યની પહેલી યુનિવર્સીટી બનશે
બે વર્ષનો "હિન્દુ અભ્યાસ" અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રથી “હિન્દુ અભ્યાસ”માં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કર્યો છે. યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં પ્રથમ વખત હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે. VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે.
સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બે વર્ષનો “હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે.
સિન્ડિકેટ સભ્યો વચ્ચે ચર્ચા બાદ, દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને બાદમાં તમામ સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવી હતી. પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના MA સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષમાં 2022-23માં ભણાવવામાં આવશે. આગામી દિવસોમાં યુનિવર્સિટી અભ્યાસક્રમ અને અભ્યાસક્રમની સામગ્રી તૈયાર કરશે.
VSNGUના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “BHU અભ્યાસક્રમોની 80 ટકા સામગ્રી અમારા અભ્યાસક્રમમાં રહેશે અને બાકીની 20 ટકા સામગ્રી સ્થાનિક વિસ્તારની હશે. અમે એક ફ્રેમવર્ક સેટ કરીશું જેમાં આ બે વર્ષના અભ્યાસક્રમ માટે પસંદગીના અને વૈકલ્પિક વિષયોનો સમાવેશ થશે. અભ્યાસક્રમ ચાર સેમેસ્ટરનો હશે જે બે વર્ષની મુદતમાં પૂર્ણ થવો જોઈએ.”
“અમે હિન્દુ અભ્યાસમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ, જે છ મહિનાનો પ્રમાણપત્ર કોર્સ હશે. અમે આગામી મહિનાઓમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં પણ તેની શરૂઆત કરીશું. અમે ડિપ્લોમા કોર્સ માટે અલગ માળખું અને સામગ્રી તૈયાર કરીશું. અમે હિંદુ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટીની પણ નિમણૂક કરીશું, તેવું પણ કુલપતિએ ઉમેર્યું હતું.
સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ જણાવ્યું હતું કે, “અમે આ કોર્સ શરૂ કરીશું જેથી વિદ્યાર્થીઓ હિંદુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકે. અમે હિન્દુ ધર્મ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું, દેવી-દેવતાઓની પૂજા પર નહીં. કોર્સમાં મહાભારત, અને રામાયણ અને વેદની થીમ્સ અને રોજિંદા જીવન સાથેના તેમના સંબંધનો સમાવેશ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ્ય તત્વજ્ઞાન અને ભાષા સહિત પ્રાચીન હિન્દુ ધર્મના વિદ્વાનોને તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓને હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિનો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય મળશે.
આ પણ વાંચો : Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ “પુસ્તક પરબ”, સેવાભાવી યુવાનો
આ પણ વાંચો : Surat : સુરતી યુવાનોએ બનાવ્યું મેઇડ ઈન ઇન્ડિયા રોકેટ, નામ આપ્યું “કલામ”