Rajasthan: સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, આ ઉંમર બાદ કર્મચારીઓને નહીં મળે શૈક્ષણિક રજા
રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓ માટે કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ 52 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને હવે શૈક્ષણિક કાર્ય માટે રજા આપવામાં આવશે નહીં.
Rajasthan: રાજસ્થાનમાં સરકારે સરકારી નોકરીમાં હોય ત્યારે શૈક્ષણિક રજા (Education leave) પર જતા કર્મચારીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. ગેહલોત સરકારે (Gehlot Government) જાહેર કરેલા આ નવા નિયમો મુજબ 52 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને હવે શૈક્ષણિક કાર્ય માટે રજા આપવામાં આવશે નહીં. તમને જણાવવુ રહ્યું કે રાજ્યના નાણા વિભાગે આ અંગે સુધારેલા આદેશો પણ જાહેર કર્યા છે.
વિભાગીય વડા દ્વારા રજા આપવામાં આવશે
નાણા વિભાગના નવા આદેશ મુજબ હવે શૈક્ષણિક રજા માંગતા આવા કર્મચારીઓને વિભાગમાં શૈક્ષણિક કાર્યની ઉપયોગીતા જોઈને વિભાગીય વડા દ્વારા રજા આપવામાં આવશે. બીજી તરફ આ રજા દરમિયાન ઉપલબ્ધ પેન્શન અને અન્ય રાજ્ય સુવિધાઓનો લાભ આ રજા બાદ નોકરી શરૂ કર્યા પછી જ મેળવી શકાશે.
જો 50%થી વધુ જગ્યાઓ ખાલી હોય તો અનુભવમાં છૂટછાટ આપવામાં આવશે
સાથે જ ગેહલોત સરકારે કહ્યું છે કે સરકારી કચેરીઓમાં પ્રમોશન દરમિયાન જો 50 ટકા જગ્યાઓ ખાલી હોય અને અનુભવમાં છૂટછાટ પછી પણ જગ્યાઓ ખાલી રહે તો એક વર્ષની વધારાની છૂટ આપવામાં આવશે. રાજ્યના કર્મચારી વિભાગના જણાવ્યા અનુસાર રાજીનામું અથવા નિવૃત્તિ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ પર વિભાગીય સમિતિ દ્વારા પ્રમોશન આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે નવા સુધારા હેઠળ કર્મચારી વિભાગે આગામી નાણાકીય વર્ષ 2022-23માં પ્રમોશન માટે તમામ વિભાગોને સૂચના દ્વારા જાણ કરી છે.
કર્મચારીઓને અભ્યાસ માટે રજા મળશે
આ સિવાય ગેહલોત સરકારે અભ્યાસ રજાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. સરકારે કહ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી જનહિત સંબંધિત કોઈપણ વિષય પર આગળ અભ્યાસ કરવા માંગે છે તો તેને અભ્યાસ રજા આપવામાં આવશે.
સાથે જ આદેશમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ કર્મચારી અંગત અભ્યાસ કે સંશોધન માટે અભ્યાસ રજા લઈ શકશે નહીં. ઉપરાંત નવા નિયમો અનુસાર જે કર્મચારીઓ અભ્યાસ રજા લઈ રહ્યા છે, તેઓ કામ પર પાછા ફર્યા બાદ નિવૃત્તિ પહેલા તેમની સેવામાં 5 વર્ષ બાકી હોવા જરૂરી છે.