જાણો નેશનલ ટીચર્સ અવોર્ડ વિજેતા રાજકોટના શિક્ષક વનિતાબેન રાઠોડ અને તેમની સિદ્ધીઓ વિશે
આચાર્ય વનિતાબેન રાઠોડે અથાગ પ્રયત્નોથી શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળાને A ગ્રેડ સુધી પહોચાડી. એટલું જ નહિ, પણ આ શાળાની પ્રસિદ્ધિ એટલી થઇ કે આજુબાજુની બે ખાનગી શાળાઓ બંધ થઇ ગઈ.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર્સ અવોર્ડ (National Teachers Award) નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ નેશનલ ટીચર્સ અવોર્ડ માટે દેશભરમાંથી 44 શિક્ષકની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના બે શિક્ષકનો પણ સમાવેશ થાય છે. આ બે શિક્ષકોમાંથી એક શિક્ષક રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનાં આચાર્ય વનિતાબેન રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે. આવો જાણીએ શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વનિતાબેન રાઠોડ વિશે.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જન્મ વનિતાબેન રાઠોડ રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93 શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળાના આચાર્ય છે. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1979ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો. વનિતાબેન રાઠોડ અભ્યાસકાળથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતાં અને તેઓ ડોક્ટર બનવા ઈચ્છતા હતા. જોકે અમુક સંજોગોને કારણે તેઓ ધોરણ-10 પછી સાયન્સના અભ્યાસમાં ન જઈ શક્યા અને ડોક્ટર ન બની શક્યાં.ધોરણ 10 પછી તેમણે કોમર્સમાં અભ્યાસ શરૂ કર્યો અને તથા બાદમાં BBA, M.COM અને B.ED સુધી અભ્યાસ કરી શિક્ષક બન્યા.
શાળાને A ગ્રેડ સુધી પહોચાડી શ્રેષ્ઠ શાળા બનાવી રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93 શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા D ગ્રેડની શાળા ગણાતી હતી. આ શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડે અથાગ પ્રયત્નોથી શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળાને A ગ્રેડ સુધી પહોચાડી. એટલું જ નહિ, પણ આ શાળાની પ્રસિદ્ધિ એટલી થઇ કે આજુબાજુની બે ખાનગી શાળાઓ બંધ થઇ ગઈ.
શાળામાં અનેક સુવિધાઓ ઉભી કરી શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળામાં ઘણી સુવિધાઓનો અભાવ હતો અને જયારે વનિતાબેન રાઠોડ આ શાળાના આચાર્ય બન્યા ત્યારે વિદ્યાર્થીઓ અસુવિધામાં જ અભ્યાસ કરી રહ્યાં હતા, ત્યાં સુધી કે શાળામાં છોકરા- છોકરીઓ માટે અલગ શૌચાલય પણ ન હતા. આ ઉપરાંત અનકે અગવડો હોવાને કારણે વિદ્યાર્થીઓ પણ ગેરહાજર રહેતા હતા.વનિતાબેન રાઠોડે આ શાળાના આચાર્ય બનતાની સાથે જ એક બાદ એક સુવિધાઓ ઉભી કરી અને આજે એ જ શાળા શ્રેષ્ઠ શાળા બની છે. વર્ષ 2015માં આ શાળાના વિદ્યાર્થીઓ માત્ર 300 હતા અને આજે 800 થી પણ વધુ છે.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ઘરે જઈ પુસ્તકો આપ્યા કોરોનાકાળમાં રાજ્યની તમામ શાળાઓ બંધ કરવામાં આવી હતી. શાળા બંધ થતા વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ છૂટી ન જાય અને તેમની વાંચનશક્તિ ઓછી ન થાય એ માટે વનિતાબેન રાઠોડે પોતાની શાળાના વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પુસ્તકો આપ્યા અને વાંચન શરૂ ર્કાહાવનો આગ્રહ કર્યો હતો.