છોટા ઉદેપુર : આમ કેવી રીતે ભણશે બાળકો ? જનીયારા ગામની પ્રાથમિક શાળાની હાલત દયનીય
આ ગામમાં શાળાનું મકાન બનાવવાનું જ જાણે ભૂલાઇ ગયું છે. ભૂલી ગઈ એવું એટલા માટે કહેવું પડ્યું કે શાળા શરૂ થયે ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ શાળાના બાંધકામની શરૂઆત પણ કરવામાં નથી આવી
કોરોનાકાળ બાદ સરકારે ઓફ લાઇન શિક્ષણ તો શરૂ કર્યું ,બાળકોના શિક્ષણની સરકારે ચિંતા છે સારી વાત છે, પરંતુ જ્યાં શાળાના મકાન જ નથી. ત્યાં બાળકો કેવી રીતે ભણશે તેની દરકાર સરકારે લીધી જ નથી. શિક્ષણના દાવાઓની પોલ ખોલતા વધુ એક પ્રાથમિક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે. જનીયારા પ્રાથમિક શાળાનું મકાન જ નથી, ગામના એક સજ્જનના ઘરની અડાળીમાં ચાલી રહી છે ધોરણ 1 થી 4ની શાળા.
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના જનીયારા ગામની પ્રાથમિક શાળાની હાલત દયનીય છે, વર્ષ 2018થી શરૂ થયેલી આ સરકારી પ્રાથમિક શાળા માટે આજદિન સુધી મકાન બાંધવામાં નથી આવ્યું. 1 થી 4 ધોરણ ના 56 વિદ્યાર્થીઓ માટે ગામના એક સજ્જને પોતાના મકાનની અડાળીમાં બેસાડવા સહમતિ આપી અને શાળાના બાળકો ઘરની અડાળીમાં બેસીને અભ્યાસ શરૂ કરી દીધો, બાળકોને પોતાના ઘરના ઓટલા ઉપર બેસાડવા સહમતિ આપી હતી.
પરંતુ, આ ગામમાં શાળાનું મકાન બનાવવાનું જ જાણે ભૂલાઇ ગયું છે. ભૂલી ગઈ એવું એટલા માટે કહેવું પડ્યું કે શાળા શરૂ થયે ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ શાળાના બાંધકામની શરૂઆત પણ કરવામાં નથી આવી ,ત્યારે ચોમાસામાં ચારે બાજુથી વરસતા વરસાદમાં અને હાલમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારે પણ નાના ભૂલકાઓ ખુલ્લામાં બેસી શિક્ષણ મેળવવા મજબૂર છે.
વિસ્તારમાં આદિવાસી ગરીબ બાળકો પાસે ગરમ કપડાં પણ નથી કે ઠંડીથી રક્ષણ મેળવી શકે. બીજીબાજુ અડાળીમાં ખુલ્લામાં બેસી ભણવું પડે છે. એક જ જગ્યાએ ચારે ચાર ધોરણના બાળકો કેવી રીતે બેસે અને બબ્બે શિક્ષકો દ્વારા પણ આ બાળકોને કેવી રીતે શિક્ષણ આપી શકાય ?? એટલું જ નહીં અડાળીમાં બકરા પણ બાંધવામાં આવે છે.
બાળકોના અભ્યાસને લઇને અવારનવાર મોટીમોટી વાતો થતી રહે છે. ત્યારે હવે શિક્ષણવિભાગ આ ગામની પ્રાથમિક શાળા પ્રત્યે કયારે ધ્યાન આપે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકા હવે યુવાઓ પર ફોકસ કરશે, સંપૂર્ણ રસીકરણ થયેલ કોલેજ કેમ્પસને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત