AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયામાં છબરડા, પ્રવેશ પ્રક્રિયા રોકવાની ફરજ પડી
બીએસસીમાં ઉમિયા ગર્લ્સ સાયન્સ કોલેજમાં બોયઝને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. આ છબરડો સામે આવતા રાતોરાત પ્રવેશ સમિતિએ બોયઝને આપેલા પ્રવેશ રદ્દ કરી અન્ય કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યા.
ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા છબરડાઓ સામે આવ્યો છે..બીકોમ અને બીએસસીની પ્રવેશ પ્રક્રિયામાં છબરડો થયો છે. પ્રવેશ સમિતિ દ્વારા આજે બીકોમ, બીબીએ, બીસીએ સહિતના કોર્ષમાં પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીએ ન્યુ.એલ.જે કોમર્સ કોલેજમા પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. ન્યુ.એલ.જે કોમર્સ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ના હોવા છતાં પ્રવેશ ફાળવી દેવાયો છે.
ન્યુ.એલ.જે.કોમર્સ કોલેજ ચાલુ વર્ષે એલ.જે. યુનિવર્સિટી સાથે જોડાતા ગુજરાત યુનિવર્સિટીમાંથી ન્યુ એલ જે કોમર્સ કોલેજનું એફિલેશન રદ્દ કરવામાં આવ્યું છે. છતાં પણ યુનિવર્સિટીની પ્રવેશ સમિતિએ 419 વિદ્યાર્થીઓને ન્યુ એલ જે કોમર્સ કોલેજમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. ન્યુ એલ જે કોલેજ એલ જે યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અને, એલ.જે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી કોલેજ શરૂ કરી દેવાઈ છે.
પ્રવેશમાં છબરડો થયા બાદ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં જેટલા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી હતી. તે તમામ વિદ્યાર્થીઓને ફાળવેલ પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. વેબસાઈટ પરથી કોલેજ ફાળવણીનો લેટર ગાયબ થઈ ગયો છે. ફાળવેલ પ્રવેશ રદ્દ થતા વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ ફળવ્યા બાદ ફી પણ ભરી દીધી છે. ત્યારે યુનિવર્સિટીએ ફાળવેલ પ્રવેશ પરત ખેંચી લેતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. છબરડા બાદ નવેસરથી પ્રવેશ ફાળવવામાં આવશે.
બીએસસીમાં ઉમિયા ગર્લ્સ સાયન્સ કોલેજમાં બોયઝને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. આ છબરડો સામે આવતા રાતોરાત પ્રવેશ સમિતિએ બોયઝને આપેલા પ્રવેશ રદ્દ કરી અન્ય કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યા. આ ઉપરાંત સાયન્સમાં એમ.જી.સાયન્સ કોલેજોમાં જિયોલોજી વિષય ગાયબ થઈ ગયો હતો. રજુઆત બાદ જિયોલોજી વિષયને એડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુહાપુરની એફ ડી સાયન્સ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી હોવા છતાં પ્રવેશ સમિતિની કોલેજની યાદીમાંથી ગાયબ થઇ ગઇ હતી.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વખત રાજ્ય સરકારની જીઆઈપીએલ એજન્સીને ઓનલાઇન પ્રવેશની કામગીરી સોંપી છે. એજન્સીની બેદરકારીને કારણે ચાલુ વર્ષે મોટાપાયે છબરડાઓ સામે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓના મેરીટ ક્રમાંકમાં પણ છાબરડાઓ સામે આવ્યા છે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યા બાદ ફી પણ ભરી દીધી છે. જો હવે નવેસરથી પ્રવેશમાં વિદ્યાર્થીઓને પહેલા જે કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે જ કોલેજમાં ફરીથી પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.