Ahmedabad : પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારાનો વિરોધ, ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ સરકાર સામે શરૂ કર્યું આંદોલન
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી (Private university) એકટમાં કરેલા સુધારા સામે અધ્યાપકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.
રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી (Private university) એકટમાં કરેલા સુધારા સામે અધ્યાપકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી એકટમાં સુધારો કરી ગ્રાન્ટેડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટી સાથે જોડાવા મંજૂરી આપી છે. 2009માં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો હતો. ત્યારે વિરોધ થતા સરકારે 2011માં સુધારો કર્યો હતો.
2011માં કરેલા સુધારાથી ગ્રાન્ટેડ કોલેજો પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે જોડાઈ શકતી નહોતી. પરંતુ સરકારે 2021માં રાતોરાત 2011માં કરેલો સુધારો રદ્દ કરી દીધો છે. સરકારે સુધારો રદ્દ કરતા સુરતની 9 ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સીટીમાં જોડાઈ ગઈ છે. જેને લઈને ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે રાજ્યવ્યાપી વિરોધ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ખાતે પણ મોટી સંખ્યામાં ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો તથા કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું.
અધ્યાપકોની માંગ છે કે ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સીટીમાં જોડવા અંગેનો સુધારો રદ્દ કરવામાં આવે છે.સરકાર ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ બંધ કરે. આ સાથે જ માંગ કરી હતી કે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં કરેલો સુધારો રદ્દ કરવામાં આવે. અત્યાર સુધી ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાઈ શકતી નહોતી.
સરકારે એકટમાં સુધારો કરતા ગ્રાન્ટેડ કોલેજો પણ ખાનગી યુનિવર્સિટીમાં જોડાઈ શકે છે. જો આ સુધારો રદ્દ કરવામાં નહીં આવે તો રાજ્યની 400 જેટલી ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ થશે. હાલ ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓને 700થી 1500 રૂપિયામાં ઉચ્ચ અભ્યાસ મળે છે. જો ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં જોડાય તો ખાનગી યુનિવર્સિટીઓ મનફાવે તેમ ફી વસૂલી શકે છે.
સામાન્ય અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ઉચ્ચ શિક્ષણનો અધિકાર છીનવાઈ જશે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો અને કર્મચારીઓની નોકરીઓ છીનવાઈ જશે. જો સરકાર આ સુધારો પરત નહીં ખેંચે તો અધ્યાપક મંડળે રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી છે.
ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના પ્રમુખ પ્રો.રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે સરકારને આ બાબતે અનેક વખત રજુઆત કરી છે. જો સરકાર હકારાત્મક નિર્ણય નહીં લે તો રાજ્યભરમાં ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ઉગ્ર આંદોલન કરશે. સુરતમાં 9 ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવામાં આવી છે.
ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો, કર્મચારીઓ અને ફી અંગે શિક્ષણમંત્રીએ 1 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવાનું કહ્યું છે. સરકારનો નિર્ણય આવ્યા બાદ આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : Banaskantha : પ્રથમ તબક્કામાં રસીકરણમાં અગ્ર રહેલા જીલ્લામાં 13 લાખ લોકો હજુ પણ કોરોના રસીથી વંચિત