પશુપાલકો માટે સ્વચ્છ દૂધ ઉપ્તાદન શા માટે જરૂરી છે ? જાણો તેના ફાયદા
દુધાળા પશુ શુદ્ધ ઓલાદનું, બીજા કે ત્રીજા વેતારનું જ હોવું જોઈએ. ખરીદી વખતે શક્ય હોય તો તેના માતાના દૂધ ઉત્પાદનની માહિતી મેળવવી જોઈએ.
પશુની (Cattle Farming) દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેવા કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, દોહન કરવું, પાણી પાવું વગેરે. આ બધાં કાર્યો માટે ચોક્કસ સમય ફાળવવો અને આપણી અનુકૂળતા પ્રમાણે રોજ જે તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. આ નિયત કાર્યક્રમાં અનિયમિતતાની માઠી અસર તરત જ દુધાળ પશુના દૂધ ઉત્પાદન (Milk Production) ઉપર પડે છે. આથી ચુસ્તપણે નિયત કાર્યક્રમને વળગી રહીને તેનું સમયસર પાલન કરવું જોઈએ.
સ્વચ્છ દૂધ ઉપ્તાદન શા માટે જરૂરી 1. સ્વચ્છ દૂધથી માનવીનું આરોગ્ય જળવાય છે. 2. સ્વચ્છ દૂધ લાંબો સમય સુધી બગડતું નથી. 3. સ્વચ્છ લાંબા અંતર સુધી સારી સ્થિતિમાં હેરફેર કરી શકાય છે. 4. સ્વચ્છ દૂધથી વધુ સારી ગુણવત્તા વાળી દુધની પેદાશો બનાવી શકાય છે. 5. સ્વચ્છ દૂધથી પેદાશો લાંબો સમય સુધી બજારમાં ટકી શકે છે. 6. સ્વચ્છ દૂધથી સારો બજાર ભાવ મેળવી શકાય છે. 7. સ્વચ્છ દૂધની પેદાશો પરદેશમાં સરળતાથી નિકાસ કરી શકાય છે. 8. સ્વચ્છ દૂધથી કાયદાકીય ધારાધોરણોનું પાલન કરવામાં સરળતા રહે છે.
સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી પાયાની કાળજી કઈ કઈ છે? 1. રોગમુક્ત તંદુરસ્ત અને સ્વચ્છ પશુઓ રાખવા. 2. પશુ ખરીદતા પહેલા રોગમુક્ત છે કે કેમ તેની ખાતરી કરી લેવી, જરૂરી હોય તો દાકતરી તપાસ કરાવીને જ પશુ ખરીદવું. 3. પશુ બીમાર હોય ત્યારે તેને અન્ય તંદુરસ્ત પશુથી દુર બાંધવું અને તેની યોગ્ય સારવાર કરાવવી. બીમાર પશુનું દૂધ મંડળીમાં ભરવું નહી. 4. પશુના વાળ સમયાંતરે કાપતા રહેવું તેમજ અવાર-નવાર સ્વચ્છ પાણીથી નવડાવવું.
દુધાળા પશુની ખરીદી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? દુધાળા પશુ શુદ્ધ ઓલાદનું, બીજા કે ત્રીજા વેતારનું જ હોવું જોઈએ, ખરીદી વખતે શક્ય હોય તો તેના માતાના દૂધ ઉત્પાદનની માહિતી મેળવી, દુધની નસ લાંબી, ગૂંચળાં વાળી અને દુરથી સ્પષ્ટ દેખાય તેવી હોવી જોઈએ, ચારેય આંચળો મધ્ય કદના સરખા અને ચાલુ હોવા જોઈએ.
આ પણ વાંચો : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ગુજરાત સરકાર ડાંગને રાજ્યનો પ્રાકૃતિક ખેતી ધરાવતો સૌપ્રથમ જિલ્લો જાહેર કરશે