ભારતમાંથી નિકાસ પ્રતિબંધ બાદ વિદેશી બજારોમાં ઘઉંના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે, G-7 દેશોએ ટીકા કરી તો ચીન ભારતના પક્ષમાં આવ્યું
કિંમતો વધવા પાછળનું કારણ માત્ર ભારતમાંથી નિકાસ પર પ્રતિબંધ નથી. છેલ્લા એક વર્ષથી ઘઉંના ભાવ (Wheat Price) વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં 76 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
શનિવારે ભારતે ઘઉંની નિકાસ (Wheat Export) પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત સરકારના આ નિર્ણયની અસર વિદેશી બજારોમાં દેખાવા લાગી છે, જ્યાં ભાવ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. જો કે, કિંમતો વધવા પાછળનું કારણ માત્ર ભારતમાંથી નિકાસ પર પ્રતિબંધ નથી. છેલ્લા એક વર્ષથી ઘઉંના ભાવ (Wheat Price) વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં 76 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. માત્ર આ વર્ષે જ ભાવમાં 60 ટકાનો વધારો થયો છે. બીજી તરફ G-7 દેશોએ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવા બદલ ભારતની ટીકા કરી છે, પરંતુ ચીને આ મુદ્દે દિલ્હીનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ માટે ભારતને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી.
સામાન્ય રીતે, આપણા દેશમાં ઘઉંના ભાવ રવિ સિઝનમાં સ્થિર રહે છે. ભાવ વધારાની અસર લોટથી લઈને બ્રેડના ભાવ પર પડી હતી. તેને નિયંત્રણમાં રાખવા માટે ભારતે પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો. ભારત અને પડોશી દેશોમાં ખાદ્ય સુરક્ષાને ટાંકીને સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, ભારત એવા દેશોમાં ઘઉંની નિકાસને મંજૂરી આપશે જેમની સાથે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેટર ઓફ ક્રેડિટ જાહેર કરવામાં આવી છે.
ઘઉંની ખરીદીમાં મોટો ઘટાડો થયો
આ વખતે દેશમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. તેમજ સરકારી ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતને જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે પણ ઘણાં અનાજની જરૂર છે. બીજી તરફ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પાસેનો સ્ટોક ગયા વર્ષની સરખામણીએ અડધો થઈ ગયો છે અને ફુગાવો વધી રહ્યો છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ નિર્ણય લેવો પડ્યો.
ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો
આ વર્ષે માર્ચમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. ઘઉંમાં પોષક તત્વો એકઠા થાય છે અને અનાજ પાકે છે, પરંતુ વધતા તાપમાનને કારણે, ઘઉં સંકોચાઈ ગયા અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો. સરકારનો અંદાજ હતો કે આ વખતે ઉત્પાદન 111.3 મિલિયન ટન થશે, પરંતુ તે 5.7 ટકા ઘટીને 105 મિલિયન ટન થયું છે. જો કે, ઉપજમાં 15-20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. જો આમ થશે તો ઉત્પાદન 9 થી 95 મિલિયન ટનની વચ્ચે રહેશે.
બજાર કિંમત MSP કરતા વધારે
નીચા ઉત્પાદન અને સારી નિકાસની તકોને કારણે ઘઉંના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ વખતે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ બજાર કિંમત આના કરતા ઘણી વધારે હતી. આના કારણે સરકારી ખરીદીમાં ઘટાડો થયો હતો, કારણ કે ખેડૂતોએ ઊંચા ભાવની ઈચ્છાથી ઉત્પાદન ખુલ્લા બજારમાં વેચ્યું હતું. આ કારણે એવી આશંકા છે કે સરકારી ખરીદી 15 વર્ષના નીચલા સ્તરે પહોંચી શકે છે.