પશુપાલકોએ સ્વચ્છ દૂધ ઉપ્તાદન માટે કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ ? જાણો તમામ માહિતી
પશુની દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેમ કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, દોહન કરવું, પાણી પાવું વગેરેનો સમાવેશ થાય છે.
પશુની (Cattle Farming) દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેમ કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, દોહન કરવું, પાણી પાવું વગેરે. આ બધાં કાર્યો માટે ચોક્કસ સમય ફાળવવો અને આપણી અનુકૂળતા પ્રમાણે રોજ જે તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. આ નિયત કાર્યક્રમાં અનિયમિતતાની માઠી અસર તરત જ દુધાળ પશુના દૂધ ઉત્પાદન (Milk Production) ઉપર પડે છે. આથી ચુસ્તપણે નિયત કાર્યક્રમને વળગી રહીને તેનું સમયસર પાલન કરવું જોઈએ.
સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી પાયાની કાળજી 1. રોગમુક્ત તંદુરસ્ત અને સ્વચ્છ પશુઓ રાખવા. 2. પશુ ખરીદતા પહેલા રોગમુક્ત છે કે કેમ તેની ખાતરી કરી લેવી, જરૂરી હોય તો દાકતરી તપાસ કરાવીને જ પશુ ખરીદવું. 3.પશુ બીમાર હોય ત્યારે તેને અન્ય તંદુરસ્ત પશુથી દુર બાંધવું અને તેની યોગ્ય સારવાર કરાવવી. 4. બીમાર પશુનું દૂધ મંડળીમાં ભરવું નહી. 5. પશુના વાળ સમયાંતરે કાપતા રહેવું તેમજ અવાર-નવાર સ્વચ્છ પાણીથી નવડાવવું.
સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે દોહાનારે લેવાની થતી કાળજી 1. દૂધ દોહન પહેલા પશુના આંચળ અને બાવલું હુંફાળા સ્વચ્છ પાણીથી ધોઈને લુછીને સાફ કરવું. 2. પશુનું રહેઠાણ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ વાળું હોવું જોઈએ. 3. દૂધ દોહવાના વાસણો સ્વચ્છ, સાંકડા મોઢાના, સાંધા વગરના સ્ટિલ કે એલ્યુમિનિયમના હોવા જોઈએ. 4. દૂધ દોહન પછી તેને ગાળીને, ઢાંકીને તરત જ મંડળીમાં પહોંચાડવું. 5. દૂધ દોહનાર વ્યક્તિએ સ્વચ્છ કપડા પહેરવા, લાંબા નખ કાપી નાખવા તથા હાથ સાબુથી ધોઈ દોહન કરવું. 6. દૂધ દોહન પહેલા અને વાસણ ખાલી થયા બાદ તરત જ તેને પીવાલાયક સ્વચ્છ શુદ્ધ હુંફાળા પાણીથી સાફ કરવા. 7. આંચળને દબાવીને દોહવા, ખેંચીને નહી. 8. દોહનની ક્રિયા હંમેશા ઝડપથી 5 થી 6 મિનીટમાં પૂર્ણ કરવી. 9. દોહન વખતે પશુને દાણ તથા લીલું ઘાસ આપવું.
દોહન-ઘરનું વાતાવરણ સ્વચ્છ દૂધ ઉત્પાદન ઉપર કઈ રીતે અસર કરે છે ? 1. પશુનું રહેઠાણ સારું હવા-ઉજાસ વાળું હોવું જરૂરી છે. 2. ભોયતળીયું કોંક્રીટનું રાખો જેથી સફાઈમાં સરળતા રહે. 3. દિવસમાં એકવાર પશુની જગ્યા ફેરબદલ કરો. 4. છાણનો ઉકરડો પશુ રહેઠાણથી દુર રાખવો. 5. માખી, મચ્છર, જીવાત, ઇતરાડી, ઉંદર વગેરેને દુર રાખવા યોગ્ય પગલા લેવા. 6. દૂધ દોહતી વખતે કચરો ન વાળવો તેનાથી હવા દ્વારા રજકણો ફેલાઈને દુધને બગાડે છે.
આ પણ વાંચો : ભારતનો અન્નનો સ્ટોક માત્ર સ્થાનિક રીતે જ નહીં અન્ય દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ: નરેન્દ્ર સિંહ તોમર
આ પણ વાંચો : દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓની રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચી IFFCO