Wheat Export: ભારત કયા દેશોમાં ઘઉંની કરશે નિકાસ, કેન્દ્ર સરકારે દુનિયાની સામે સ્થિતિ કરી સ્પષ્ટ
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ભારત જરૂરીયાતમંદ દેશોને ઘઉંની નિકાસ (Wheat Export) ને મંજૂરી આપવાનું ચાલુ રાખશે.
નિકાસ બંધ થવાને લઈને જે પણ દેશો નારાજ છે તેની પરવા કર્યા વિના ભારતે આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal)સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ભારત એવા દેશોને ઘઉંની નિકાસ (Wheat Export)ને મંજૂરી આપવાનું ચાલુ રાખશે જેમને તેની સૌથી વધુ જરૂર છે, જે મૈત્રીપૂર્ણ છે અને ક્રેડિટ લેટર ધરાવે છે. ” સ્થાનિક બજારમાં ઘઉં મોંઘા થવાને કારણે વધતી જતી મોંઘવારી અને ઓછા ઉત્પાદનના અંદાજને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 13 મેના રોજ તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં 7 થી 8 ટકાનો વધારો થવાની ધારણા હતી, પરંતુ ગરમીના મોજાને કારણે પાક વહેલો લેવામાં આવ્યો હતો અને તેનું ઉત્પાદન ઘટ્યું હતું. તેમણે વધુમાં કહ્યું, “આ પરિસ્થિતિને જોતાં, આપણે જે જથ્થો ઉત્પન્ન કરી રહ્યા છીએ તે સ્થાનિક વપરાશ માટે પૂરતો છે.”
ભારત ઘઉંનો પરંપરાગત નિકાસકાર નથી
કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે ભારત ક્યારેય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંનો પરંપરાગત સપ્લાયર નહોતો અને લગભગ બે વર્ષ પહેલા જ ઘઉંની નિકાસ શરૂ કરી હતી. ગયા વર્ષે 7 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી અને તેમાંથી મોટાભાગની નિકાસ છેલ્લા બે મહિનામાં થઈ હતી, જ્યારે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ઘઉંની નિકાસ તેના વિશ્વ વેપારના 1 ટકાથી ઓછી છે અને આપણી નિકાસ પરના પ્રતિબંધની વૈશ્વિક બજારોને અસર થવી જોઈએ નહીં. અમે ગરીબ દેશો અને પડોશીઓમાં નિકાસને મંજૂરી આપવાનું ચાલુ રાખ્યું છે.”
આ વર્ષે શું ઉત્પાદન થશે
કેન્દ્ર સરકારે 2021-22માં 110 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ઉત્પાદન 106.41 મિલિયન ટન થશે. રશિયા અને યુક્રેનની ગણતરી વિશ્વના મુખ્ય ઘઉં ઉત્પાદક દેશોમાં થાય છે, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ વર્ષે અન્ય ઘણા દેશોમાં ઘઉંની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. કારણ કે તેમાં રશિયા અને યુક્રેનથી ઘઉંની નિકાસ થઈ રહી નથી. એટલું જ નહીં, ઘણા દેશોમાં તેનું ઉત્પાદન પણ ઘટી ગયું છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘઉંના ભાવમાં આગ લાગી છે.
સરકારી ખરીદી ઘટી, બદલી ગયા ટારગેટ
ઘઉંના દરમાં આંતરરાષ્ટ્રીય વધારાની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. અહીં પણ, ખેડૂતોને ઘઉંની કિંમત 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં વધુ મળી રહી છે. આથી ખેડૂતો ઘઉં સરકારી બજારમાં વેચવાને બદલે વેપારીઓને વેચવાનું પસંદ કરી રહ્યા છે. તેથી જ આ વર્ષે હજુ સુધી પ્રાપ્તિનો લક્ષ્યાંક પૂરો થયો નથી.
કેન્દ્ર સરકારે એપ્રિલની શરૂઆતમાં કહ્યું હતું કે આ વખતે MSP પર 444 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે. પરંતુ બદલાયેલા સંજોગોમાં આ લક્ષ્યાંક ઘટાડીને 195 લાખ મેટ્રિક ટન કરવો પડ્યો છે.