ખેડૂતોએ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.
ખેડૂતો (Farmers) તેના પાકમાં યોગ્ય પ્રમાણમાં જંતુનાશકોનો (Pesticides) ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકે છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. પરંતુ આ દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ચાલો જાણીએ પાકમાં દવા છાંટતી વખતે શું કાળજી રાખવી જોઈએ.
* દવા છાંટવાના સ્થળે પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો. * સૂચના મુજબ દવાનું પ્રમાણ જાળવવું જોઈએ. * દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું અને કોઇ પણ સંજોગોમાં મોઢાનો ઉપયોગ કરવો નહીં. * દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં. સાબુથી હાથ ધોઇ પછી જ આ વસ્તુ લેવી હિતાવહ છે. * પવનની વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો જોઈએ. * બિમાર કે દવાની એલર્જીવાળા વ્યક્તિએ દવા છંટકાવ કરવો નહીં. * દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા જોઈએ. * ચશ્મા, હાથ મોજા, પગમાં બુટ, માસ્ક વગેરે પહેરવું. * દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી નહીં. * છંટકાવ કાર્ય પુરું થયે પંપ બરાબર સાફ કરીને જ મુકવો. * વહેલી સવારે કે સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવો. * દવા પિયત પાણીમાં ન ભળી જાય તેનું ધ્યાન રાખવું. * દવા છાંટયા બાદ સાબુથી સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું. * દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઇ વ્યક્તિ ન જાય તેની કાળજી રાખવી જોઇએ. * ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી તેને ઉતારવા નહીં. * દવા છાંટનારે ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. * દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર કીટ રાખવાની ભલામણ છે.