PM Kisan: પાત્ર ના હોવા છતા PM કિસાન યોજનાના હપ્તા લીધા હોય તો હવે એક ક્લિક પર ઓનલાઈન પૈસા કરી શકાશે પરત
કેન્દ્ર સરકારે 2018ના અંતમાં PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojna) શરૂ કરી હતી. જે અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
ઘણા સમયથી દેશમાં ખેડૂતો(Farmers)ને આર્થિક સહાય આપવાની માગ કરવામાં આવી રહી હતી. જેના માટે કેન્દ્ર સરકારે 2018ના અંતમાં PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojna)શરૂ કરી હતી. જે અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે બે હજાર રૂપિયાના હપ્તા તરીકે વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 10 હપ્તા મોકલવામાં આવ્યા છે અને નોંધાયેલા ખેડૂતો 11મો હપ્તો આવે તેની રાહ જોઈ રહ્યા છે, જેમાં પાત્ર ન હોય તેવા ખેડૂતોએ હપ્તાની રાહ વધારી દીધી છે.
હકીકતમાં, 10મો હપ્તો જાહેર થયા પછી, એ સામે આવ્યું છે કે ઘણા એવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેઓ આવકવેરો ભરવાની સાથે સરકારી સેવાઓમાં છે. યોજનામાં આ ખામી સામે આવ્યા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત આ દિવસોમાં પાત્ર ન હોય તેવા ખેડૂતો પાસેથી યોજના હેઠળ અપાયેલી રકમની વસૂલાતની પ્રક્રિયા ચાલી રહી છે. આવા પાત્ર ન હોય તેવા લોકો ટૂંક સમયમાં સ્કીમ હેઠળ મેળવેલા પૈસા ઓનલાઈન પરત કરી શકશે.
ઓનલાઈન રિફંડ લિંક પીએમ કિસાન વેબસાઈટ પર છે
આ દિવસોમાં યોજનાનો લાભ લઈ ચૂકેલા પાત્ર ન હોય તેવા લોકો પાસેથી નાણાં વસૂલવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારો દ્વારા આવા ખેડૂતોની ઓળખ કરીને હપ્તાના નાણાં પરત કરવા નોટિસ જાહેર કરવામાં આવી છે. ત્યારે બિહાર સહિત કેટલાક રાજ્યોએ પણ આવા પાત્ર ન હોય તે લોકોને હપ્તો પરત કરવા માટે સમય આપ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા બેંક એકાઉન્ટ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં પીએમ કિસાન એક કેન્દ્રીય યોજના છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 100% રકમ ખર્ચવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કે જેથી પાત્ર ન હોય એવા લોકો આ નાણાં સીધા કેન્દ્ર સરકારને પરત કરી શકે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાનની વેબસાઈટ પર ઓનલાઈન રિફંડ લિંક પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
તમે લિંક પર ક્લિક કરીને આ રીતે પૈસા પરત કરી શકો છો
પીએમ કિસાનની વેબસાઇટ પર, પાત્ર ન હોય એવા લોકો પાસેથી વસૂલાત માટે ઑનલાઇન રિફંડ લિંક કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ લિંક પર ક્લિક કરવાથી એક પેજ ખુલશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જે લોકોએ પૈસા પરત કર્યા છે અને હજુ સુધી પૈસા પરત કર્યા નથી તેમના માટે વિકલ્પો છે. જેમણે પૈસા પરત કર્યા નથી, તેમણે તેની સામે ક્લિક કરવાનું રહેશે. જે બાદ આવા લોકો આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબર, ફોટો અને રિકવરી રકમ ભરીને પૈસા પરત કરવાની પ્રક્રિયા કરી શકે છે.