Vadodara: સિમલાના સફરજન બહુ ખાધા, હવે વડોદરાવાસીઓ વેમાર ગામના ખટમીઠા સફરજન ખાવા તૈયાર રહે
સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે. એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ રમુજી લાગે.
ખેડૂતોની (Farmers) સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશા નવા પરિમાણો, પરિણામો અને પાકો આપે છે. તેના લીધે કચ્છ જેવા સૂકા અને મોટેભાગે રેતાળ પ્રદેશમાં કેસર કેરી (Mango) થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી ફળ, થોરના ફળ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. ઉત્તર ગુજરાતના ખેડૂત કેસર ઉગાડવાના પ્રયાસ કરી ચૂક્યા છે અને વિશેષતા એ છે એકાદ બે વાર નિષ્ફળતા મળે તો પણ હતાશ થયાં વગર આ ખેડૂતો પ્રયાસમાં પાછી પાની કરતાં નથી.
સફરજન (Apple) આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે. એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ રમુજી લાગે. પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના એક બે નહીં, પૂરા 220 જેટલા છોડ ઉછરીને 5 થી 7 ફૂટની ઊંચાઈ એ પહોંચી ગયા છે. તેમણે 2019 ના જાન્યુઆરી મહિનામાં આ હિમાલયના વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કર્યું હતું.
જો કે રેફ્રીજરેટર જેવા ઠંડા વાતાવરણવાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતા એમણે જણાવ્યું કે હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાયટી તૈયાર કરી છે. જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયાં વગર આ સફરજન ઉગાડયાં છે અને તેમનાથી પ્રેરાઈને ગીરીશભાઈએ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે. ગીરીશભાઈએ તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુરની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી. આમ,એમને જાણે કે અર્ધા રસ્તે ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા.
વાવેતરના બીજા વર્ષે એટલે કે 2020 માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો. જો કે સલાહકાર સંસ્થા એ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતાં હોવાથી ગીરીશભાઈને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી.
હવે 2022 માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે. એટલે સિમલાના સફરજન ખાનારા વડોદરાવાસીઓ હવે વેમારના સફરજન ખાવા તૈયાર રહે. હરમન 99 પ્રકારની આ વરાયટીના સફરજન રંગે પીળા-ગુલાબી અને ખટ મધુરા હોય છે. તેમણે પરિવહન ખર્ચ સહિત લગભગ એક છોડના રૂ.300 ના ભાવે 300 છોડ વાવેતર માટે ખરીદ્યા હતા. 80 જેટલાં છોડ બગડી જતા સંસ્થાનો સંપર્ક કર્યો તો જણાવ્યું કે છોડના થડની આસપાસ પાણીનો ભરાવો થાય તો છોડ મરી જાય છે.
આ પાક મોટેભાગે ઢોળાવવાળી જમીનને અનુકૂળ હોવાથી તેમણે પાળા જેવી રચના કરી, થડની આસપાસ પાણીનો ભરાવો ટાળ્યો. પરિણામે આજે 220 જેટલા છોડ ઉછરી રહ્યાં છે. રાજ્યના બાગાયત વિભાગની વડોદરા કચેરીએ પણ તેમના આ પ્રયોગની નોંધ લીધી છે.