વધતા તાપમાનના કારણે દાડમના બગીચા જોખમમાં, ફળ બચાવવા ખેડૂતો લઈ રહ્યા છે આ પગલાં
Pomegranate Farming:મહારાષ્ટ્રમાં દાડમની ખેતી કરતા ખેડૂતો આ દિવસોમાં ખૂબ જ પરેશાન છે. વધતા તાપમાનના કારણે બગીચાઓને માઠી અસર થઈ છે. ખેડુતોને ફળોને સુરક્ષિત રાખવામાં ભારે સંઘર્ષ કરવો પડે છે.
મહારાષ્ટ્રમાં દાડમના બગીચા જીવાતો અને રોગોના ભય હેઠળ છે. સોલાપુર જિલ્લો દાડમનો ગઢ ગણાય છે. પરંતુ જીવાતોના ઉપદ્રવને કારણે ગયા વર્ષથી દાડમના (Pomegranate)બગીચાઓ અદૃશ્ય થઈ રહ્યા છે. બીજી તરફ તાપમાનમાં વધારો થતાં દાડમ ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ (Farmer) કમોસમી વરસાદ અને જીવાતોના ઉપદ્રવથી બગીચાને બચાવવા લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ વધતી ગરમીની અસર બગીચાઓ પર પડી રહી છે. વધતા તાપમાનના કારણે ફળ જેમ જેમ સેટ થવા લાગે છે તેમ તેમ નીચે પડી રહ્યા છે. આ સાથે પિનહોલ બોરર જીવાતોનો પ્રકોપ પણ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય છે ત્યારે આ ભય ઉભો થાય છે. જેના કારણે ખેડૂતો પરેશાન છે અને કૃષિ વિભાગ પાસે મદદની માંગ કરી રહ્યા છે.
નાશિક જિલ્લાના સપટને વિસ્તારમાં પારો 40ને પાર થવાથી દાડમના ઝાડને નુકસાન થઈ રહ્યું છે અને તાપમાન વધવાને કારણે અન્ય ફળો પણ નાશ પામી રહ્યા છે. સૂર્યપ્રકાશને કારણે ફળો પર સફેદ ફોલ્લીઓ દેખાય છે. તેથી જ ખેડૂતો ફળોને તડકાથી બચાવવા સખત મહેનત કરી રહ્યા છે. આ ફોલ્લીઓ બગીચા પર હાનિકારક અસર કરી રહી છે અને ફળોની ગુણવત્તા પણ બગડી રહી છે.
આ કામ ખેડૂતો બગીચાને બચાવવા માટે કરી રહ્યા છે
ખેડૂતો જરૂરિયાત મુજબ જૂની સાડીઓ અને કપડાંનો ઉપયોગ કરીને નાના વૃક્ષોને ઢાંકી રહ્યા છે. આ ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ગરમીની અસર ઓછી કરવા માટે ખેડૂતો રાત્રીના સમયે બગીચાઓમાં પાણી પણ ઠાલવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે કમોસમી વરસાદ અને તાપમાનના કારણે દાડમના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે.
જીવાતોના વધતા પ્રકોપથી ખેડૂતો પરેશાન
આ વર્ષે દાડમના બગીચામાં પિનહોલ બોરર જીવાતોનો ઉપદ્રવ ઝડપથી વધ્યો છે. જેના કારણે ખેડૂતોને તેમના બગીચાનો નાશ કરવાની ફરજ પડી હતી. આ જીવાતોને કારણે સોલાપુર જિલ્લામાં દાડમના બગીચાને વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડ્યું હતું. વધતા જતા પ્રકોપને જોતા કૃષિ વિભાગે આ માટે આયોજન શરૂ કરી દીધું છે અને આ અંતર્ગત ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે.