Onion Price: ડુંગળીના ભાવમાં સતત ઘટાડા વચ્ચે ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, સામાન્ય લોકોને થશે તેની અસર
ખેડૂતોએ (Farmers) સતત નુકસાન સહન કરવાને બદલે ડુંગળીનો સંગ્રહ કરવાનો અથવા ઉત્પાદન બંધ કરવાનો સામૂહિક નિર્ણય લીધો. તેની અસર પણ હવે જોવા મળી રહી છે. ખેડૂતોને એક સપ્તાહમાં બમણો ભાવ મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ડુંગળીના ભાવમાં (Onion Price) ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો (Farmers) તેમનો ઉત્પાદન ખર્ચ પણ વસૂલ કરી શકતા નથી. ઘણી જગ્યાએ, ખેડૂતો ખેતરોમાં તેમના પાકનો નાશ કરી રહ્યાં છે અથવા તેને પશુઓને ખવડાવી રહ્યાં છે. ભાવ એટલો ઓછો થઈ રહ્યો છે કે ઉત્પાદનને બજારમાં લઈ જવાનો ખર્ચ પણ પહોંચી નીકળી રહ્યો નથી. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખેડૂતોએ તેમના સ્તરે મોટો નિર્ણય લીધો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે અને તેઓને ડુંગળી માટે વધુ ખર્ચ કરવાની ફરજ પડશે. મહારાષ્ટ્ર ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. ડુંગળીના ઘટતા ભાવથી અહીંના ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ખેડૂતોએ સતત નુકસાન સહન કરવાને બદલે ડુંગળીનો સંગ્રહ કરવાનો અથવા ઉત્પાદન બંધ કરવાનો સામૂહિક નિર્ણય લીધો. તેની અસર પણ હવે જોવા મળી રહી છે. ખેડૂતોને એક સપ્તાહમાં બમણો ભાવ મળી રહ્યો છે. એક સપ્તાહ સુધી ડુંગળીનો જથ્થાબંધ ભાવ 7-8 રૂપિયા પ્રતિ કિલો હતો. સાથે જ ખેડૂતો પાસેથી 2 અને 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ ઉત્પાદન બંધ થયા બાદ સ્થિતિ સુધરી છે અને કેટલીક જગ્યાએ જથ્થાબંધ ભાવ 17 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ભાવ વધે તો સરકારે નિકાસ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ
નાગપુરમાં ડુંગળીની સરેરાશ કિંમત 12 થી 15 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે જ સમયે, કેટલીક જાતોની કિંમત 17 રૂપિયા પ્રતિ કિલો સુધી મળી રહી છે. હવે જ્યારે દર વધવા લાગ્યા છે ત્યારે સરકાર હસ્તક્ષેપ ન કરે તેવી ખેડૂતોના સંગઠનો આશા રાખી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા શેતકરી સંગઠનના પ્રમુખ અનિલ ઘનવતે જણાવ્યું હતું કે અગાઉ એવું જોવા મળ્યું છે કે જ્યારે ભાવ વધે ત્યારે સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. આગામી દિવસોમાં ભાવ વધે તો સરકાર આવો કોઈ નિર્ણય ન લે તેવું અમે ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે જો ભાવ ઘટવાથી ખેડૂતોને નુકસાન થયું હોય તો ભાવ વધે ત્યારે તેમને નફો કરવાની તક મળવી જોઈએ.
ખેડૂતોનું કહેવું છે કે અમે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો અને હવે અમને નફો મળી રહ્યો છે. સરકારી સ્તરેથી કોઈ મદદ મળી નથી. જો ખેડૂતો ઉત્પાદન બંધ ન કરે તો નુકસાન વેઠવું પડે છે. ખેડૂતોનું કહેવું છે કે 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો મળશે તો ફાયદો થશે. એક એકરમાં ડુંગળીની ખેતી કરવા માટે કુલ 60 થી 65 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જો તેઓને યોગ્ય ભાવ નહીં મળે તો તેમને નુકસાન વેઠવું પડશે. આ જ કારણ છે કે ખેડૂતો ડુંગળી માટે MSP જેવી સિસ્ટમની માગ કરી રહ્યા છે, જ્યાં લઘુત્તમ કિંમત નક્કી કરવામાં આવે.