Rice Price : હવે ચોખામાં આવી શકે છે ભાવ વધારો, તહેવારોની સીઝનમાં બગડી શકે છે ગૃહિણીઓનું બજેટ
નિષ્ણાતો અને વિશ્લેષકો આગાહી કરે છે કે ફુગાવો આગામી સમયમાં પણ ઊંચા સ્તરે રહેશે. ત્યારે જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજી વિદાય ન લેવાને કારણે ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે.
ખરીફ સિઝનમાં ડાંગરની ઓછી વાવણીને કારણે ચોખાનું ઉત્પાદન (Rice Farming)લગભગ 60-70 લાખ ટન જેટલું ઓછું થવાની ધારણા છે. ઉત્પાદનમાં આ મોટા ઘટાડા વચ્ચે, ચોખાના ભાવ (Rice Price)માં વધારો થઈ શકે છે. એટલે કે, તમારી પ્લેટમાં પીરસવામાં આવતા ચોખા મોંઘા થઈ શકે છે. આવી સ્થિતિમાં પહેલાથી જ સુસ્ત અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધુ વધશે. રિટેલ મોંઘવારી માત્ર 7 ટકા પર પહોંચી ગઈ છે. જો ચોખા-ઘઉં જેવી ખાદ્ય ચીજો મોંઘી થશે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
તાજેતરના મહિનાઓના ડેટા પર નજર કરીએ તો, અનાજ સહિત તમામ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ત્રણ મહિનાથી સતત છૂટક ફુગાવો જે ઘટી રહ્યો છે, તે ઓગસ્ટમાં ફરીથી વધવા લાગ્યો અને તે 7 ટકા પર પહોંચી ગયો. આ સાથે જથ્થાબંધ મોંઘવારી પર અનાજ સહિત અન્ય ખાદ્ય ચીજોના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું. નિષ્ણાતો અને વિશ્લેષકો આગાહી કરે છે કે ફુગાવો આગામી સમયમાં પણ ઊંચા સ્તરે રહેશે. ત્યારે જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજી વિદાય ન લેવાને કારણે ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે.
નિષ્ણાતોનો અભિપ્રાય શું છે
પાક વર્ષ 2021-22માં ભારતનું ચોખાનું ઉત્પાદન 13.229 કરોડ ટન રહ્યું, જે એક વર્ષ અગાઉ 12.437 કરોડ ટન હતું. ખાદ્ય મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 60-70 લાખ ટન ઓછું રહેશે. દેશના કુલ ચોખા ઉત્પાદનમાં ખરીફ સિઝનનો હિસ્સો લગભગ 85 ટકા છે.
જો કે, કેટલાક નિષ્ણાતોના મતે, ચોખાના ઉત્પાદનમાં ઘટાડો એ ચિંતાનું કારણ નથી કારણ કે ભારતમાં પહેલેથી જ હાજર સ્ટોક પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)ની માગને પહોંચી વળવા માટે પૂરતો છે. આ સિવાય તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને નોન-બાસમતી નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદવાનો સરકારનો નિર્ણય પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરશે.
મોંઘવારી ચિંતાનું કારણ બની
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે તેલ અને ગેસ અને મૂળભૂત ઘટકોની કિંમતોમાં રાહત હોવા છતાં, ભાવ વધવાથી ખાદ્યપદાર્થોની કિંમતોમાં દબાવ વધ્યો છે. શનિવારે નાણા મંત્રાલયના એક અહેવાલમાં, ખરીફ સિઝનમાં ઓછા પાકના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને, કૃષિ કોમોડિટીના સ્ટોકના યોગ્ય સંચાલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે ફુગાવાના મોરચે બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ.
નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે પીટીઆઈને જણાવ્યું હતું કે ચોખાના કારણે સ્થાનિક ફુગાવા પર તાત્કાલિક કોઈ ખતરો નથી. કિંમતોમાં વધારો એમએસપી અને ખાતર અને ઇંધણ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો હતો. જેની કિંમતો વધી રહી છે ત્યારે ચોક્કસ વધારો થશે. આ વધારો કેટલો થશે અને સામાન્ય લોકોને કેટલી પરેશાની થશે તે તો સમય જ કહેશે. પરંતુ ઘણા દિવસોથી ખુલ્લા બજારમાં ચોખાના ભાવ વધવા લાગ્યા છે. અગાઉની સરખામણીમાં પ્રતિ કિલો ચોખામાં 10 રૂપિયાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.