ગૌ-પાલનથી કરી લાખોની કમાણી, એવોર્ડ વિજેતા ગૌ-પાલકની પ્રેરણાદાયક કહાણી
વર્ષ 1993થી અશોકભાઇએ ગૌ-પાલનની શરૂઆત કરી. પહેલા ભેંસ, પછી કાંકરેજ અને ત્યારબાદ ગીર ગાય લાવ્યા. હાલ તેમની ગૌશાળામાં ગીર ગાય, એચ.એફ ગાય, બન્ની ભેંસ એમ કુલ 200 જેટલા દૂધાળા પશુઓ છે.
આજે આપણે મહેસાણાનાં એવા પશુપાલકની વાત કરીશું કે જેમણે પશુપાલનમાં અનોખી કેડી કંડારી છે અને નવા કિર્તીમાન સ્થાપ્યા છે, જે અન્ય પશુપાલકોને પણ પ્રેરણા આપી રહ્યા છે. ગૌ-પાલન કરીને પણ સારી આવક મેળવી શકાય છે, આ વાત સાબિત કરી છે મહેસાણાના ખેરાલૂ તાલૂકાના ધરતીપુત્રએ. વર્ષ 1993થી ખેરાલુનાં અશોકભાઇએ ગૌ-પાલનની શરૂઆત કરી. પહેલા ભેંસ, પછી કાંકરેજ અને ત્યારબાદ ગીર ગાય લાવ્યા. હાલ તેમની ગૌશાળામાં ગીર ગાય, એચ.એફ ગાય, બન્ની ભેંસ એમ કુલ 200 જેટલા દૂધાળા પશુઓ છે. અશોકભાઇ ગાય અને ભેંસના સંવર્ધનનું કામ પણ કરે છે. તેઓ પોતાની ગાયોને ખવડાવવાનો ચારાની ખેતી પણ પોતે જ કરે છે. આ ખેતીમાં તેઓ પોતાને ત્યાંની જ ગાયનાં છાંણીયા ખાતર અને ગૌમુત્રનો ઉપયોગ કરે છે. તેમને આધુનિક પધ્ધતિથી ખરબચડાં ભોંયતળિયાવાળો તબેલો બનાવ્યો છે દરેક ગાય વચ્ચે બે મીટર જગ્યા રહે તેવું આયોજન કર્યું છે. તેમણે ચારાનાં સંગ્રહ માટેનો વિશાળ શેડ પણ બનાવ્યો છે.
આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય
વર્ષ 2009થી 2014 દરમિયાન ખેરાલુ ભાગ દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સૌથી વધુ ગાયનાં દુધ ઉત્પાદન માટે તેમને પ્રથમ કક્ષાનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે વર્ષ 2013-14 અને વર્ષ-2019ના કૃષિ મહોત્સવમાં તેમને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ મળ્યો છે. ગાયના દુધની સાથે તેઓ છાણ વેચીને પણ રૂપિયા કમાય છે. ગાય અને ભેંસનું સંવર્ધન કરીને પણ તેમની આવકમાં વધારો થયો છે. અશોકભાને એક વર્ષમાં લગભગ 10 થી 12 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે.
જો તમે પણ આ રીતે ગૌ-પાલન કરી આવક ઉભી કરવા ઇચ્છતા હોવ તો તમને જણાવી દઇએ કે જો તમે 10 ગાય વસાવી ગૌપાલન શરૂ કરો તો તમારે લગભગ અડધો એકર જમીન જોઇશે. ગાય વસાવવાનો અને તબેલો બનાવવાનો ખર્ચ 8.50 લાખ જેટલો થશે. દર મહિને નિભાવ ખર્ચ 60 હજાર જેટલો થશે અને 1 લાખ રૂપિયા જેટલી આવક થશે. જેથી મહિને લગભગ 40 હજાર જેટલો ચોખ્ખો નફો ગૌપાલ કમાઇ શકે છે.