રાજ્યમાં લમ્પી રોગના કારણે અનેક પશુઓના મોત, મોટા પાયા પર રસીકરણ યથાવત
સરકાર પશુઓ (Cattle)ના મૃત્યુનો વાસ્તવિક આંકડો છુપાવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જેમાં આ ખતરનાક રોગથી મૃત્યુ પામેલા પશુઓની સંખ્યા સરકાર દ્વારા જાહેર કરાયેલી સંખ્યા કરતા 25 થી 30 ગણી વધારે છે.
ગુજરાત (Gujarat)માં લમ્પી ચામડીના રોગનો પ્રકોપ જોવા મળ્યો છે. આ રોગને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં હજારો પશુઓના મોત થયા છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં લમ્પી રોગ (Lumpy skin diseases)થી 1240 પશુઓના મોત થયા છે. જ્યારે સરકાર પશુઓ (Cattle)ના મૃત્યુનો વાસ્તવિક આંકડો છુપાવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ ખતરનાક રોગથી મૃત્યુ પામેલા પશુઓની સંખ્યા સરકાર દ્વારા જાહેર કરાયેલી સંખ્યા કરતા 25 થી 30 ગણી વધારે છે.
વિપક્ષે દાવો કર્યો છે કે જે રીતે સરકારે કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવ્યા હતા તે જ રીતે તે પશુઓના મૃત્યુના આંકડા છુપાવી રહી છે કારણ કે વાસ્તવિક સંખ્યા આના કરતા 25-30 ગણી વધારે હોઈ શકે છે. પશુઓના મૃત્યુ અંગે ગુજરાતના જામનગર નગર નિગમના અધિકારીઓ સાથેની બેઠક બાદ મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં લમ્પી વાયરસથી સંક્રમિત આશરે 50,000 પશુઓને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે 1240ના મોત થયા છે. વધુ માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે હવે આ રોગથી પશુઓને બચાવવા માટે 15 લાખ પશુઓને રસી આપવામાં આવી રહી છે.
વધુ સંખ્યામાં પશુઓના મોત થયા
મીડિયા રિપોર્ટ અનુસાર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે સત્તાવાર આંકડા અને સત્ય વચ્ચે ઘણો તફાવત છે. તેમણે કહ્યું કે માત્ર કચ્છમાં જ 25,00-3000 પશુઓના મોત થયા છે. આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે મૃત પ્રાણીઓના નિકાલ માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી. શહેર હોય કે ગામડાઓના છેવાડે બધે પશુઓ ફેંકવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે જો તમે શહેરની મુલાકાત લો અને શહેરની બહારના વિસ્તારોમાં રસ્તાઓ પર પશુઓના મૃતદેહ જોઈ શકો છો. તેમણે કહ્યું કે નગરપાલિકા પાસે આ પશુઓના નિકાલ માટે શ્રમબળ અને માળખાકીય સુવિધાઓનો અભાવ છે.
પશુઓના નિકાલ માટે પાલિકા તૈયારી કરી રહી છે
જ્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠાકુરે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ રોગ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે કેટલા પશુઓના મોત થયા છે તે જાણવામાં અમે નિષ્ફળ ગયા. પરંતુ હવે મોટી સંખ્યામાં પ્રાણીઓના મોતના સમાચાર આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા મૃત પશુઓના નિકાલ માટે ઉંડા ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને બે મેટ્રિક ટન મીઠું ખરીદવામાં આવ્યું છે.
રાજ્યમાં હાલ શું છે સ્થિતિ
રાજ્યમાં લમ્પી વાયરસનો કેર યથાવત્ છે. વાયરસના કારણે પશુઓ ટપોટપ મરી રહ્યા છે. ત્યારે કચ્છના ભૂજના નાગોર ડમ્પિંગ સાઈટ પર પશુઓના મોત વાયરસથી ન થવાનો ખુલાસો થયો. તો જામનગરમાં લમ્પીનું સંક્રમણ ફેલાતું અટકાવવા રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. આ તરફ પાટણમાં લમ્પીને પગલે વારાહી ગૌશાળાના સંચાલકોએ નવા પશુઓ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે. તો હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં શંકાસ્પદ લમ્પીગ્રસ્ત ગાય જોવા મળી. બીજી તરફ વિરમગામમાં પણ લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.
આ તરફ જામનગર જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીના સુપરવિઝનમાં 4 દિવસ રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. જેમાં જિલ્લાના 100 ટકા ગૌપશુધનનું રસીકરણ કરવામાં આવશે. આ અભિયાનમાં પશુઓની વિશેષ કાળજી તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપી કામધેનુ યુનિવર્સિટીમાંથી પ્રાધ્યાપકો અને અનુસ્નાતક તબીબોની મદદ લેવાશે. જામનગર જિલ્લાના 417 ગામડામાં ગાય વર્ગના પશુધનની અંદાજીત સંખ્યા 1 લાખ 38 હજાર 176 છે. તે પૈકી હાલની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા 3 હજાર 315 છે. આ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે 64 હજાર 182 પશુધનને રસીકરણ દ્વારા સુરક્ષીત કરવામાં આવ્યા છે.