Kharif 2021: રાજ્યમાં કુલ 2,18,554 હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું, સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર
જુનમાં ખરીફ સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો જુદા-જુદા પાકોની વાવણી કરે છે. મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે.
ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરે છે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું (Crops) આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકે છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે.
ચાલુ વર્ષે ખરીફ સિઝન-2021 માં ગુજરાતમાં ખરીફ પાકોનું તા: 14-06-2021 ના રોજ સુધીમાં કુલ 2,18,554 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને કપાસના પાકનું વાવેતર થયું છે. જેમાં 94,518 હેકટરમાં મગફળીનું વાવેતર થયું અને 99,382 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. તમાકુના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને માત્ર 10 હેકટરમાં જ તમાકુનું વાવેતર થયું છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો તમાકુનું 611 હેકટરમાં વાવેતર થયું હતું.
આ સાથે જ 1,044 હેકટરમાં ધાન્ય પાકોનું વાવેતર થયું છે. જેમાં પેડી – 454 હેક્ટર, બાજરા – 128 હેક્ટર, મકાઈ – 450 હેક્ટર, અન્ય ધાન્ય પાકોનું 12 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે હાલ જુવાર પાકનું વાવેતર કરવામાં આવ્યું નથી. કઠોળ વર્ગના પાકોનું 625 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં તુવેર – 561 હેક્ટર, મગ – 47 હેક્ટર અને અડદ – 17 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે મઠનું વાવેતર થયુ નથી.
જો તેલીબિયાં પાકની વાત કરવામાં આવે તો તેનું 95,144 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં મગફળીનું સૌથી વધારે 94,518 હેકટર, સોયાબીન – 436 હેકટર અને તલ – 190 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત શાકભાજી પાકોનું 8.743 હેક્ટર અને ઘાસચારા પાકોનું 13,606 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગુવારના વાવેતરમાં ખેડૂતોની નીરસતા જોવા મળી અને છેલ્લા બે વર્ષમાં ખરીફ સીઝનમાં ગુવારનું વાવેરાત ઝીરો ટકા નોંધાયું છે.