મગફળીની ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મેળવો મબલક ઉત્પાદન, સફળવાર્તા
બજારમાં ઓર્ગેનિક રીતે પકવેલી ખેત પેદાશોની માગ વધી છે. તેના સારા ભાવ પણ મળી રહે છે, જેથી ખેડૂતનાં નફામાં વધારો થાય છે.
રસાયણિક ખાતરોનો ઉપયોગ કરી ખેડૂતો ખેતી તો કરે છે, પરંતુ સમય જતા જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. જમીનની પાણીને શોષવાની ક્ષમતા પણ ખૂબ જ ઘટી જાય છે. આજે બજારમાં ઓર્ગેનિક રીતે પકવેલી ખેત પેદાશોની માગ વધી છે. તેના સારા ભાવ પણ મળી રહે છે. અને અગત્યની વાત તો એ છે કે, ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતને મોંઘા રસાયણિક ખાતર પર થતો ખર્ચ બચે છે, જેથી ખેડૂતનાં નફામાં વધારો થાય છે.
જૂનાગઢનાં કાલિયાવાડી ગામનાં ખેડૂત રસિકભાઇને ખેતી તો વારસામાં મળી છે. તેઓ લગભગ 22 વર્ષથી ખેતી કરી રહ્યા છે. અગાઉ તેઓ રસાયણિક ખાતરો વાપરીને ખેતી કરતા હતા પરંતુ 2014નાં ઉનાળામાં તેમણે તરબૂચની ખેતી કરી અને તેમાં તેમને દોઢલાખ રૂપિયાનું નુકશાન થયું અને ત્યારબાદ તેમણે રસાયણિક ખાતરો વાપરવાનું બંધ કર્યું. રસિકભાઇ તે પછી ગાય આધારિત ખેતી તરફ વળ્યા. એ જ વર્ષે તેમણે ચોમાસા દરમિયાન મગફળીનું વાવેતર કર્યું તેમાં તેમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળતા તેઓ એ ગાય આધારિત ખેતી કરવાનું જ નક્કિ કર્યું.
ચોમાસામાં તે પોતાની 4 એકર જમીનમાં મગફળીની ગાય આધારિત ખેતી કરે છે અને ત્યારબાદ એ જ જમીનમાં ઘઉં કે ઘાણાની ખેતી કરે છે. જ્યારથી તેમણે ગાય આધારિત ખેતી અપનાવી છે ત્યારથી મગફળી અને ઘઉમાં તેમને સારી ગુણવત્તાનું વધુ ઉત્પાદન મળવા લાગ્યું છે. તેઓ ઉનાળાનાં સમયમાં ઘનજીવામૃત બનાવીને તેનો સંગ્રહ કરી લે છે અને ત્યારપછી જરૂરિયાત મૂજબ પ્રતિ એકર 100કિલો ઘન જીવામૃત આપે છે.
ગાય આધારિત ખેતી કરવા માટે રસિકભાઇએ બે ગાય પણ વસાવી છે. તેઓ મગફળીનાં પાકને જીવામૃત પણ આપે છે. હાલ સાર્વત્રિક સારો વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં મોટા પાયે મગફળીનો પાક હાલ જોવા મળે છે. અત્યારે ચાલતા સારા ચોમાસાને લઇને પાકને પીયતની પણ આવશ્યકતા નથી ત્યારે રસિકભાઇના ખેતરમાં ચાલતાં સ્પ્રિન્કલરને જોઇને સૌ કોઇને આશ્ચર્ય અવશ્ય થાય પરંતુ આ સ્પ્રિન્કલરમાં પાણી સાથે જીવામૃતનો છંટકાવ થઇ રહ્યો છે અને મહત્વની વાત એ છે કે જીવામૃત સાથે પાણી જવા છતા મગફળીના પાકમાં પાણીના પ્રમાણનું નિયંત્રણ થાય છે અને મગફળી પીળી પડતી નથી, સાથે છોડની વૃધ્ધી પણ સારી થાય છે અને રાસાયણિક દવા વગરની ઉચ્ચ ગુણવત્તાની મગફળીનું ઉત્પાદન તૈયાર થાય છે.
જીવામૃતનાં ઉપયોગને કારણે તેમની જમીનમાં વરસાદી પાણી પણ સારી રીતે શોષાઇ જાય છે. આ જીવામૃત બનાવવા રસિકભાઇ આ પદ્ધતિ અપનાવે છે. 1 એકરમાં 200લિટર જીવામૃત આપવાનું હોય છે. આ જીવામૃત બનાવવા માટે જરૂરી સામગ્રી છે. એક પ્લાસ્ટિકનું પિપડું, 200 લીટર પાણી, ગાયનું તાજુ છાણ 10કિલો, 5 લિટર ગૌમુત્ર, 1 કિલો ચણાનો લોટ, 1 કિલો દેશી ગોળ, 200ગ્રામ જેટલી અવાવરૂ વડનાં ઝાડ નીચેની માટી. આ બધી સામગ્રીને એક પીપડામાં ભેગી કરીને પાચ દિવસ સુધી મુકી રાખવી આ દરમિયાન મિશ્રણને દિવસમાં બે વાર હલાવવું. આમ પાંચ દિવસ પછી આ જીવામૃત તૈયાર થઇ જશે.
રસિકભાઇ દર વર્ષે લગભગ પોતાની 4 એકર જમીનમાં વાવેલી મગફળીમાંથી લગભગ 2000કિલો જેટલું મગફળીનું ઉત્પાદન મેળવે છે. તેમની ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદિત મગફળીનાં તેલની માંગ ખૂબ જ છે. રસિકભાઇ પોતે જ તે મગફળીનું તેલ કઢાવીને સીધા ગ્રાહકોને વેચે છે. તેમનું કાચી ઘાણીનું તેલ અમદાવાદ, સૂરત, વડોદરા જેવા શહેરનાં ગ્રાહકો નિયમિત દર વર્ષે ખરીદે છે. આમ ગાય આધારિત ખેતી કરીને ખેડૂત પોતાની જમીનની ગુણવત્તા તો વધારી જ રહ્યા છે જ્યારે રાસાયણ પાછળ થતો મોટો ખર્ચ બચાવીને પોતાનો નફો પણ વધારી રહ્યા છે.
આ પણ વાંચો: ખેડૂતોને પાવર ટીલર ખરીદવા સરકાર આપશે 50% સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય
આ પણ વાંચો: ગૌ-પાલનથી કરી લાખોની કમાણી, એવોર્ડ વિજેતા ગૌ-પાલકની પ્રેરણાદાયક કહાણી