DAP ખાતરની સબસિડીમાં સરકારે 140% નો વધારો કર્યો, ખેડૂતોને ખેતી ખર્ચમાં થશે ઘટાડો
ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતોને લાભ થાય તે માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે DAP ખાતર પરની સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો છે.
ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતોને લાભ થાય તે માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે DAP ખાતર પરની સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સરકારી તિજોરી પર 14 હજાર 775 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. વૈશ્વિક બજારમાં ખતરોની કિંમતોમાં વધારો થયો છે, પરંતુ ખેડુતોને આ ખાતર જુના ભાવે જ મળશે.
આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના જીવનમાં સુધાર લાવવા કટિબદ્ધ છે. તેથી આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થવા છતાં, અમે જૂના ભાવે ખાતર આપવાનું નક્કી કર્યું છે.
સરકારે કયા ફેરફાર કર્યા, ખેડુતોને શું ફાયદો થશે?
DAP ખાતરની સબસિડી 500 રૂપિયા પ્રતિ બેગથી વધારીને 1200 રૂપિયા કરી દીધી છે. આ વધારો 140 ટકા છે. ડીએપી બેગ હવે ફક્ત 1200 રૂપિયામાં મળશે. દર વર્ષે સરકાર રાસાયણિક ખાતરો પર સબસિડી માટે લગભગ 80 હજાર કરોડ ખર્ચ કરે છે. પરંતુ સરકારે ચાલુ વર્ષે ખરીફ સીઝન દરમિયાન સબસિડી તરીકે વધારાના 14 હજાર 775 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે.
કેન્દ્ર સરકારે ભાવ વધારાનો સંપૂર્ણ ભાર સહન કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ બેગ દીઠ સબસિડીની માત્રામાં આટલો વધારો ક્યારેય કરવામાં આવ્યો નથી. પીએમ કિસાન યોજના અંતર્ગત 20 હજાર 667 કરોડ રૂપિયાની રકમ સીધા ખેડૂતોના ખાતામાં જમાં કર્યા પછી, ખેડૂતોના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે.
ગયા વર્ષે DAP નો ભાવ બેગ દીઠ 1700 રૂપિયા હતો, જેના આધારે કેન્દ્ર સરકાર 500 રૂપિયાની સબસિડી આપી હતી. તેથી કંપનીઓ આ ખાતરો ખેડુતોને બેગ દીઠ રૂ.1,200 ના ભાવે વેચતી હતી.
ફોસ્ફોરિક એસિડ અને એમોનિયાના વૈશ્વિક ભાવમાં તાજેતરના સમયમાં 60 થી 70 ટકાનો વધારો થયો છે. તે મૂજબ ડીએપીની વાસ્તવિક કિંમત હવે બેગ દીઠ 2,400 રૂપિયા થઈ ગઈ છે. તેના પર 500 રૂપિયાની સબસિડી પછી, ખાતર કંપનીઓ તેને 1900 રૂપિયામાં વેચતી. પરંતુ સરકારે સબસિડીમાં વધારો કર્યો અને તેની કિંમત ગયા વર્ષે જેટલી જ રૂ.1200 કરી દીધી.