Bhavnagar: મહુવા પંથકમાં કેરીના પાકને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જાણો શું છે કારણ ?
મહુવા તાલુકાના 69 ગામોમાં 600થી વધુ નાની મોટી કેરીના વાડીઓ આવેલી છે. દર વર્ષે મહુવા તાલુકામાં કેરીનું સારૂ એવું ઉત્પાદન થતું હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર બદલાઈ ગયું છે.
Bhavnagar: હાલ કેરીની સિઝન ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) પંથકમાં કેરીની (Mango) આજકાલ સિઝનને લઇને નિરુત્સાહનો માહોલ છે. કારણ કે કેરી શોખીનોમાં અત્યારે સવાલ છેકે શું આ વખતે અહીંની કેરીઓ ખાવા મળશે ? અને મળશે તો કેવી મળશે, કેટલી મળશે એ સવાલ કેરીના ચાહકોનો હોય છે.
મહુવા તાલુકાના 69 ગામોમાં 600થી વધુ નાની મોટી કેરીના વાડીઓ આવેલી છે. દર વર્ષે મહુવા તાલુકામાં કેરીનું સારૂ એવું ઉત્પાદન થતું હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર બદલાઈ ગયું છે. કેમકે દર વર્ષ કરતા આ વખતે માંડ 30 થી 50 ટકાનો કેરીનો પાક આવ્યો છે. સ્વાભાવિક જ ખેડૂતોમાં (Farmers) ચિંતા વધી છે. આ સિઝનમાં વાતાવરણમાં નિરંતર ફેરફાર નોંધાતા રહ્યા છે. જેને કારણે આંબાનો મોર ખરી પડતા કેરીનો પાક ઓછો આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓના અગાઉ થયેલા સોદાની રકમ ઘટતા સારી આવક મેળવવાનું તેમનું સપનું રોળાયું છે.
આ તરફ આંબાવાડી રાખનાર વેપારીઓની પણ મુશ્કેલીઓ વધી છે. મોટી રકમની બોલી સાથે વેપારીઓ રાખેલી વાડીઓમાં કેરીનો પાક બહુ ઓછો બચ્યો હોવાથી સોદા પેટે આપેલું બાનુ પરત લીધા વિના જ ખેડૂતોને કહ્યા વગર વાડી છોડી રહ્યા હોવાનો પણ કિસ્સા પણ વધી રહ્યા છે. કેરીના વેપારીઓના મતે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષમાં કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતા છે. તો સરકારે આ ખેડૂતોનું પણ કંઈક વિચારવું જોઈએ.
ટૂંકમાં કહીએ તો કેરીના ખેડૂતો, કેરીના વેપારીઓ અને કેરીના ચાહકો, તમામ માટે સ્થિતિ વિપરીત છે. એટલે મોડી અને મોંઘી કેરી ખાવાની જ તૈયારી રાખવા સિવાય છૂટકો નથી. આ વરસે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. અને, હાલ કેરીની સિઝન હોવાછતાં બજારમાં કેરીના દર્શન પણ દુલર્ભ બન્યા છે. એમાંપણ કેરીના ભાવ સાંભળીને જ કેરી શોખીનો કેરી ખાવાનું છોડી રહ્યા છે. ત્યારે મહુવા પંથકમાં કેરીનો પાક લઇ રહેલા ખેડૂતોની માઠી દશા બેઠી છે.
આ પણ વાંચો :જમ્મુ અને કાશ્મીર: કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, જૈશનો એક આતંકવાદી માર્યો ગયો