આણંદના ખેડૂત માટે કેળ બન્યું કલ્પવૃક્ષ! કેળાની ખેતી સાથે મુલ્યવર્ધનથી કરી લાખોની કમાણી
કેતનભાઇ પોતાની 25 એકર જમીનમાંથી દર વર્ષે લગભગ 120થી 121ટન કેળાનું ઉત્પાદન મેળવે છે. કેળાની ખેતીમાં 1એકરમાં 4થી સાડા ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે.
ધરતીપુત્રની મહેનતમાં એટલી તાકાત છે કે તે પત્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. પરંપરાગત ખેતીથી અલગ આજનાં પ્રગતિશીલ ખેડૂત કઇક અલગ કરી રહ્યા છે. તમાકુની ખેતી માટે પ્રખ્યાત ચરોતર પ્રદેશના ધરતીપુત્ર કેતનભાઇએ કરી કેળાની ખેતી. તેમણે એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનું ઉત્પાદન કર્યું સાથે જ કેળાનું પ્રોસેસિંગ કર્યું. આમ કરી તેમણે કેળાની ખેતીમાંથી અઢળક આવક મેળવી.
આ પણ વાંચો: કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કપાસની વીણીનું મશીન, સુરેન્દ્રનગરના ખેડૂતની નવિનત્તમ શોધ
આણંદના આ ધરતીપુત્રએ બાપ-દાદાના સમયથી થતી પરંપરાગત ખેતીથી અલગ કર્યું. તેમણે કરી કેળાની ખેતી અને આ ખેતીમાં તેમણે જબરદસ્ત ઉત્પાદન મેળવ્યું. તેમનાં માટે કેળનું વૃક્ષ કલ્પવૃક્ષ બન્યું છે. કેળાની ગુણવત્તા પણ એવી કે આણંદના પેટલાદ તાલુકાના બોરીયા ગામના કેળાની નિકાસ પણ થાય છે. ખેતીમાં પહેલાથી જ અન્ય ખેડૂતોથી કઇક અલગ કરવા પ્રયત્નશીલ કેતનભાઇને આણંદ કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિકાસ કેન્દ્ર, બાગાયત ખાતુ અને આત્મા પ્રોજેક્ટ તરફથી તેમને સહકાર મળ્યો. શરૂઆતમાં કેતનભાઇએ કેળાની ગાંઠનું વાવેતર કરી પાક મેળવતા પણ તેમાં પુરતુ ઉત્પાદન ન મળતા તેમણે ટીસ્યુ કલ્ચર અપનાવ્યું.
માર્ગદર્શન અને પોતાની કોઠાસુઝથી કેતનભાઇ ઓર્ગેનિક પધ્ધતિથી કેળાની ખેતી કરે છે. કેળાની ખેતી માટે કેતનભાઇ સમયાંતરે પોતાની વાડીનો સોઇલ ટેસ્ટ કરાવે છે. કેળનાં પાકને તેઓ ડ્રિપની સાથે સાથે પ્રમાણસર ફ્લડ પધ્ધતિથી પણ પાણી આપે છે. તેમણે ગાય આધારિત ખેતી અપનાવી છે. કેળનાં પાકને તેઓ ખાસ જીવામૃત આપે છે. કેળાની ખેતીમાં તેઓ 80% ઓર્ગેનિક અને 20% રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. તેઓ કેળાનાં પાન અને થડનો પણ ખાતર બનાવવા ઉપયોગ કરે છે. કેળના થડના પાણીમાં પોટાશ વધારે હોય છે, જેથી કેળનાં થડમાંથી નીકળતા પાણી અને માવાનો વર્મીકંમ્પોસ્ટ ખાતર બનાવવા ઉપયોગ કરે છે.
કેતનભાઇ પોતાની 25 એકર જમીનમાંથી દર વર્ષે લગભગ 120થી 121ટન કેળાનું ઉત્પાદન મેળવે છે. ખાતર પોતે બનાવતા હોવાથી તેમને ખર્ચ ઓછો થાય છે. કેળાની ખેતીમાં 1 એકરમાં ઉત્પાદન ખર્ચ 1લાખથી 1લાખ10હજાર જેટલો આવે છે. તેની સામે કેળાની ખેતીમાં 1એકરમાં 4થી સાડા ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે. કેતનભાઇનું કહેવું છે કે જો બજાર ભાવ સારા મળે તો પ્રતિ એકર 2થી અઢી લાખ રૂપિયાનો નફો મળી રહે છે. કેળામાં બારેમાસ ઉત્પાદન મળતુ હોવાથી તેની ખેતીમાં ક્યારેય ખોટ જતી નથી. કેળામાં મુલ્યવર્ધન એટલે કે કેળાની વેફર બનાવે છે. કેળની છાલના રેસામાંથી પણ વિવિધ વસ્તુઓ બનાવે છે. આમ ખેતી દ્વારા કુલ 100 જેટલા લોકોને તેઓ રોજગારી પુરી પાડી રહ્યા છે.
કેળાની ખેતીમાં કેતનભાઇએ એવી તો કમાલ કરી કે હાલમાં દેશ-વિદેશના ખેડૂતો અને નિષ્ણાંતો તેમની વાડીની મુલાકાતે આવે છે. કેતનભાઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્રારા નવાજવામાં આવ્યા છે. અત્યાર સુધી તેમને અલગ-અલગ 50 જેટલા એવોર્ડ્સ અને સર્ટીફિકેટથી સન્માનવામાં આવ્યા છે.