નાબાર્ડના અહેવાલમાં ખુલાસો, કોઈપણ ભોગે વધુ અનાજ ઉગાડવાની રણનીતિથી મુશ્કેલીમાં છે કૃષિ ક્ષેત્ર
નાબાર્ડે ખુલાસો કર્યો છે કે કોઈપણ ભોગે વધુ વિકાસ કરવાની વ્યૂહરચનાથી દેશનું કૃષિ ક્ષેત્ર હાલ સંકટનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થોડા વર્ષો પહેલા સુધી ભારત પર્યાવરણની અસરનો અભ્યાસ કર્યા વિના વધુ ખોરાક ઉગાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. જેના કારણે કૃષિ ક્ષેત્રે પ્રચંડ પડકારો ઉભા થયા છે.
દેશ અનાજના ઉત્પાદનમાં ઘણા રેકોર્ડ બનાવી રહ્યો છે. પરંતુ, બીજી તરફ કૃષિ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. કૃષિ ક્ષેત્ર (Agriculture)ના આ પડકારોનો અભ્યાસ કરીને, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)એ એક સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં નાબાર્ડે ખુલાસો કર્યો છે કે કોઈપણ ભોગે વધુ વિકાસ કરવાની વ્યૂહરચનાથી દેશનું કૃષિ ક્ષેત્ર હાલ સંકટનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે થોડા વર્ષો પહેલા સુધી ભારત પર્યાવરણની અસરનો અભ્યાસ કર્યા વિના વધુ ખોરાક ઉગાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. જેના કારણે કૃષિ ક્ષેત્રે પ્રચંડ પડકારો ઉભા થયા છે.
કૃષિ ક્ષેત્રના પડકારો પર તાકીદે ધ્યાન આપવાની જરૂર
’21મી સદી માટે કૃષિ પડકારો અને નીતિઓ’ શીર્ષક, સાથે નાબાર્ડનો કૃષિ સંશોધન અહેવાલ, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ દ્વારા લખવામાં આવ્યો છે. મિન્ટે આ સંશોધન અહેવાલ પર એક સ્ટોરી પ્રકાશિત કરી છે. જેમાં સંશોધન અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે થોડા વર્ષો પહેલા સુધી દેશની કૃષિ વ્યૂહરચના ‘કોઈપણ કિંમતે વધુ ખોરાક ઉગાડો’ના એક જ સૂત્ર પર કેન્દ્રિત હતી.
આ રણનીતિથી દેશ ખાદ્ય ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યો. તો કેટલાક ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક ફેરફારો પણ થયા. ત્યારે તેના કારણે ગ્રામીણ વેતન અને રોજગારમાં વધારો થયો હતો. પરંતુ, તેણે ઘણા મોરચે નવા પડકારોને પણ જન્મ આપ્યો છે. તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
ખાતરનો વધુ ઉપયોગ અને સિંચાઈ માટે મફત વીજળીથી થયું નુકસાન
’21મી સદી માટે કૃષિ પડકારો અને નીતિઓ’ શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવાયું છે કે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને નીંદણનાશકોના આડેધડ ઉપયોગ અને સિંચાઈ માટે મફત વીજળીએ જળ કૃષિ ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું છે. આવા પ્રયોગોથી કુદરતી સંસાધનો, પર્યાવરણ અને ઇકોલોજીને નુકસાન થયું છે. હવા, પાણી અને જમીનની ગુણવત્તા નક્કી કરવામાં ખેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંશોધન પત્ર જણાવે છે કે જળ સંસાધનોના વધુ શોષણને રોકવા માટે, ભારતે એક નીતિગત વાતાવરણ બનાવવું જોઈએ જે વિવિધ કૃષિ-પારિસ્થિતિક પ્રદેશોમાં પ્રાકૃતિક સંસાધનોને અનુરૂપ પાકની પદ્ધતિ અને પ્રથાઓ તરફ દોરી જાય. તેમાં જણાવાયું છે કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા ખેતીમાં પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કર્યા વિના, પાણીના ઉપયોગ પર ભાર અને ભવિષ્યમાં પાણીની જરૂરિયાતને હલ નહીં કરી શકાય.