પ્રગતિશીલ ખેડૂતે વિકસાવ્યું સોલર ટ્રેપ, પાકમાં જીવજંતુ અને કીટકોનો કરશે નાશ
જૂનાગઢના જામવાળા ગીરના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઇએ પોતાની કોઠાસુઝથી સોલરથી ચાલતુ ટ્રેપ બનાવ્યું છે. સૌર ઉર્જાથી સંચાલિત ટ્રેપનો ઉપયોગ કરવાથી ખેડૂતોને જંતુનાશકોનો ખર્ચ ઘટે છે.
ખેડૂત દરેક પાકમાં જીવજંતુ તેમજ કીટકોની સમસ્યાનો સામનો કરે છે, તેના કારણે તેમને ખૂબ જ મોટુ નુકશાન થાય છે. કીટકોનો ઉપદ્રવ ઘટાડવા માટે યાંત્રિક, ભૌતિક, જૈવિક અને રાસાયણિક પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે જોઇશું જીવાતો માટેનું એક એવુ સોલર ટ્રેપ જેને એક પ્રગતિશીલ ખેડૂતે વિકસાવ્યું છે. ખેડૂતો કોઈ પણ પાકની વાવણી કરે ત્યારે સૌથી મોટો પ્રશ્ન જીવાતોના ઉપદ્રવનો હોય છે જેમાં દવા છાંટવા છતા પણ જીવાતોનો સંપૂર્ણ નાશ થતો નથી. આ સમસ્યાના સમાધાન માટે જૂનાગઢના જામવાળા ગીરના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઇએ પોતાની કોઠાસુઝથી પ્રયત્ન કર્યાં. તેમને જીવાતોના નિયંત્રણ માટે એવું સાધન બનાવવું હતું જેમાં ઓછો ખર્ચે વધુ ફાયદો થાય. રાજેશભાઇ કે જેમણે સોલરથી ચાલતુ ટ્રેપ બનાવ્યું છે.
આ સોલર ટ્રેપને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને સરળતાથી ખેતરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને મૂકી શકાય છે. સોલર ટ્રેપની અસર એક એકર જમીનનાં વિસ્તારમાં જોવા મળે છે. આ સોલર ટ્રેપમાં ઓટોમેટીક સર્કીટ હોવાથી ખેડૂતે તેને ચાલુ-બંધ કરવા પણ જવુ પડતુ નથી. સોલર પેનલથી દિવસ દરમિયાન બેટરી ચાર્જ થાય છે અને અંધારૂ થતા જ આ ટ્રેપ ઓટોમેટિક એક્ટિવ થઇ જાય છે. આ ટ્રેપમાં કીટકોને આકર્ષવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઇટ LED લેમ્પ છે. ટ્રેપની નીચે પાણીના વાડકામાં જીવાત પડીને મરી જાય છે. જો પાણીમાં પેટ્રોલ કે કેરોસીન નાખવામાં આવે તો તેની અસરકારકતા ખુબ જ વધી જાય છે.
રાજેશભાઇએ કરેલી આ શોધનો લાભ અન્ય ખેડૂતોને પણ મળે એટલે રાજેશભાઇ આવ ટ્રેપ મશીન બનાવી અન્ય ખેડૂતોને પણ રૂ.3500થી 4000માં વેચે છે. આ સૌર ઉર્જાથી સંચાલિત ટ્રેપનો ઉપયોગ કરવાથી ખેડૂતોને જંતુનાશકોનો ખર્ચ ઘટે છે અને આ સોલર પેનલનો જાળવણી ખર્ચ પણ લગભગ શુન્ય છે. આ સોલર ટ્રેપથી પાકને કોઇ પણ પ્રકારનું નુકશાન થતુ નથી અને પાકને જીવાતોથી રક્ષણ મળે છે.
આ પણ વાંચો: અકસ્માતે પશુનું મૃત્યુ થશે તો પશુપાલકોને મળશે સરકારી સહાય, જાણો યોજનાની વિગતો
આ પણ વાંચો: ખેડૂતોને પાવર ટીલર ખરીદવા સરકાર આપશે 50% સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય