Grain ATM : દેશમાં પહેલું એટીએમ જેમાં પૈસાની બદલે નીકળે છે અનાજ, જાણો સમગ્ર વિગત
દેશમાં પહેલું Grain ATM હરિયાણાના ગુરુગ્રામમાં લગાડવામાં આવ્યું છે. જેમાંથી અનાજ નીકળે છે. આ મશીન એક સમયે પાંચથી સાત મિનિટમાં 70 કિલો જેટલું અનાજ કાઢી શકે છે.
દેશમાં કૃષિ (Agriculture) ક્ષેત્રે નવી-નવી પ્રગતિ થઇ રહી છે. હવે ગ્રાહકોને સરકારી અનાજની દુકાનમાં અનાજ મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડશે નહીં કે ના તો ઓછા અનાજ મળ્યું હોવાની ફરિયાદ કરવાની કોઈ સંભાવના રહેશે નહીં, કારણ કે હરિયાણા સરકાર દ્વારા અનાજના એટીએમને લઈને કામ કરી રહી છે. રાજ્યના ગ્રાહકો માટે હરિયાણાના (Haryana) ગુરુગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશનું પ્રથમ ગ્રેન (Grain ATM) સ્થાપિત કરવામાં આવ્યું છે.
ખાદ્ય અને પુરવઠા વિભાગનો કાર્યભાર સંભાળી રહેલા નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલએ જણાવ્યું હતું કે, અનાજ એટીએમ લગાવવાથી સરકારી દુકાનોમાંથી રાશન લેનારા લોકોના સમય પૂરતું અનાજ ના મળવાની તમામ ફરિયાદો દૂર થઈ જશે. આ મશીન લગાડવાનો હેતુ એ છે કે, રાઈટ ક્વોન્ટિટી ટુ રાઈટ બેનીફીશરી. એટલે કે, વાસ્તવિક લાભાર્થીઓએ અનાજનો સંપૂર્ણ જથ્થો સમયસર મળવો જોઈએ.
તેનાથી માત્ર ગ્રાહકોને જ ફાયદો જ નહીં થાય, પરંતુ સરકારી ડેપોમાં અનાજની અછતની તકલીફનો અંત આવશે અને જાહેર અન્ન વિતરણ પ્રણાલીમાં પહેલા કરતાં વધુ પારદર્શિતા આવશે.
નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલએ કહ્યું કે, આ મશીનો માત્ર સરકારી ડેપો ઓપરેટરોને અનાજ વિતરણ કરવામાં મદદરૂપ સાબિત થશે નહીં, પરંતુ ડેપો ઓપરેટરોનો સમય પણ બચી શકશે. ગુરુગ્રામ જિલ્લાના ફરૂખનગરમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ રાજ્યભરના સરકારી ડેપોમાં આ ફૂડ સપ્લાય મશીનો લગાવવાની યોજના છે.
તે એક સ્વયં સંચાલિત મશીન છે, જે બેંક એટીએમની જેમ કાર્ય કરે છે. યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત સ્થાપિત આ મશીનને ઓટોમેટિક, મલ્ટી કોમોડિટી, અનાજ વિતરણ મશીન કહેવામાં આવે છે. આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારી અંકિત સૂદ કહે છે કે અનાજના માપમાં ભૂલ નહિવત્ છે અને આ મશીન એક સમયે પાંચથી સાત મિનિટમાં 70 કિલો જેટલું અનાજ કાઢી શકે છે.
આ સાથે જ જણાવ્યું હતું કે, મશીનમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક મશીન પણ ફીટ કરવામાં આવ્યું છે, જ્યાં લાભાર્થીને આધાર અથવા રેશનકાર્ડનો નંબર નાખવો પડશે. બાયોમેટ્રિક દ્વારા સુનિશ્ચિત કર્યા બાદ સરકાર દ્વારા સૂચવવામાં આવેલ અનાજ આપમેળે મશીનની નીચે ફીટ થેલીઓમાં ભરવામાં આવશે. આ મશીન દ્વારા ત્રણ પ્રકારના અનાજ ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરી શકાય છે. હાલમાં, ફરૂખનગરમાં સ્થાપિત અનાજ એટીએમ મશીનથી ઘઉંનું વિતરણ શરૂ કરાયું છે.