eNAM-રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના શું છે ? ખેડૂતો તેનો લાભ કેવી રીતે લઈ શકે છે ? જાણો તમામ વિગતો
eNAM પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.70 કરોડથી વધુ ખેડૂતો અને 1.63 લાખ વેપારીઓની નોંધણી થયેલ છે. સરકાર આ વર્ષે 200 અને આગામી વર્ષે 215 વધુ મંડીઓને eNAM હેઠળ જોડવાની યોજના ધરાવે છે.
રાષ્ટ્રીય કૃષિ બજાર (eNAM) એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. તેની શરૂઆત 14 એપ્રિલ 2016 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. સરકારે કૃષિ પેદાશો માટે ‘એક રાષ્ટ્ર એક બજાર’ બનાવવાના ઉદ્દેશ્યથી આ પોર્ટલ શરૂ કર્યું હતું. તેના માધ્યમથી ખેડૂતો (Farmers) તેમની નજીકના બજારમાંથી તેમની પેદાશો ઓનલાઇન વેચી શકે છે.
ખેડૂત eNAM પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે અને તમામ eNAM મંડીઓમાં વેપારીઓ સાથે ઓનલાઇન તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. અત્યાર સુધીમાં સરકારે દેશની 585 મંડીઓને eNAM હેઠળ જોડી દીધી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત SFAC, eNAM લાગુ કરનાર સૌથી મોટી સંસ્થા છે.
તમને જણાવી દઈએ કે eNAM પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.70 કરોડથી વધુ ખેડૂતો અને 1.63 લાખ વેપારીઓની નોંધણી થયેલ છે. સરકાર આ વર્ષે 200 અને આગામી વર્ષે 215 વધુ મંડીઓને eNAM હેઠળ જોડવાની યોજના ધરાવે છે. દેશભરમાં લગભગ 2,700 કૃષિ પેદાશ બજારો અને 4,000 પેટા બજારો છે.
આ પહેલા કૃષિ પેદાશ બજાર સમિતિઓમાં અથવા તે જ રાજ્યની બે મંડળીમાં વ્યાપાર કરવામાં આવતો હતો. તાજેતરમાં પ્રથમ વખત eNAM પોર્ટલના માધ્યમથી બે રાજ્યોની જુદી જુદી મંડીઓ વચ્ચે વેપાર થયો હતો. ખેડૂત eNAM પોર્ટલ પર નોંધણી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
ટ્રેડિંગ કેવી રીતે થશે
eNAM પોર્ટલ પર ઓનલાઇન ટ્રેડિંગ માટે જે તે માર્કેટમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટ્રેડિંગ માટે જે તે ઉત્પાદનની ગુણવત્તા-શુદ્ધતાના પ્રમાણને ફરજિયાતપણે જાળવવાનું રહેશે. જે અનુસાર તેની ઓનલાઇન ખરીદી થશે. ઉત્પાદનની શુદ્ધતા માટેનો લેબોરેટરી રિપોર્ટ પણ ઓનલાઇન મૂકવાનો રહેશે. જે અનુસાર જે તે માલનો ઓનલાઇન ભાવ નક્કી થશે. જો ઘઉંનો માલ હોય તો તેમાં ડાઘી ઘઉંનું કેટલું પ્રમાણ છે, તેમાં ભેજ, કાંકરા, કસ્તર વગેરેના પ્રમાણનો ઉલ્લેખ પણ લેબ રિપોર્ટમાં થશે.
ખેડૂતો eNAM પોર્ટલ પર કેવી રીતે જોડાઈ શકે છે
સૌ પ્રથમ તમારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વેબસાઇટ www.enam.gov.in પર જવું પડશે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન ટાઇપ કરવું પડશે. ત્યાં ખેડૂતનો (Farmer) વિકલ્પ દેખાશે. તમારે ઇ-મેઇલ આઈડી આપવું પડશે. ત્યારબાદ તમને ઈ-મેલ દ્વારા લોગિન આઈડી અને પાસવર્ડનો મેઇલ મળશે. ત્યારબાદ તમે www.enam.gov.in વેબસાઇટ પર લોગિન કરી શકો છો અને ડેશબોર્ડ પર તમારા કેવાયસી દસ્તાવેજ સાથે નોંધણી કરાવી શકો છો. એપીએમસી તમારી કેવાયસીને મંજૂરી આપશે, તે બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
વધારે માહિતી માટે તમે https://enam.gov.in/web/resources/registration-guideline પર જાઓ.