સુરતના ખેડૂતે તાઈવાની તરબૂચની ખેતીમાં 21 લાખનું ઉત્પાદન મેળવ્યુ
પ્રવિણભાઇએ ખેતરમાં મલ્ટીક્રોપ કોન્સેપ્ટથી આંબા કલમોની સાથે તરબૂચની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. વિદેશી તરબૂચની પ્રગતિશીલ ખેતીને કારણે આજુબાજુનાં ત્રણ ગામના શ્રમિકોને રોજગારી પણ આપી રહ્યા છે,
સુરતમાં (Surat)કદાચ પ્રથમ વખત પીળાં તરબૂચની(Yellow watermelon) ખેતી કરાઇ છે. સુરતના કામરેજના ઘલા ગામના ખેડૂત પ્રવીણ માંગુકિયાએ દેશી તરબૂચના સ્થાને તાઈવાનના (Taiwan) રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડયા છે. અને આધુનિક ખેતીનો (Modern farming) અનોખો અભિગમ અપનાવ્યો છે.
પ્રવિણભાઇએ ખેતરમાં મલ્ટીક્રોપ કોન્સેપ્ટથી આંબા કલમોની સાથે તરબૂચની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. વિદેશી તરબૂચની પ્રગતિશીલ ખેતીને કારણે આજુબાજુનાં ત્રણ ગામના શ્રમિકોને રોજગારી પણ આપી રહ્યા છે, સાથે જ 9 એકર જમીનમાં રૂ. 21 લાખના ઉત્પાદનની આશા છે.
ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુમાં તાઈવાની તરબૂચનું વાવેતર કરીને જેકપોટ સમાન ઉત્પાદન કર્યું છે. જેનો અંદાજ સેવતા તા.21મી માર્ચે પ્રથમ જ દિવસે જ 20 ટન તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે.
તરબૂચ વાવેતર કર્યાના માત્ર 90 દિવસ બાદ રૂ.21 લાખનું ઉત્પાદન મેળવ્યું છે. તેમને 14 લાખનો ચોખ્ખો નફો થશે એવો અંદાજ સેવ્યો છે. ખેડૂતે નવ એકર જમીનમાં મલ્ટીક્રોપનો પ્રયોગ કરતાં 4400 આંબાની કલમો વાવી છે. આ ઉપરાંત તેમણે સોલર પાવર, ખેત તલાવડી અને ટપક પદ્ધતિથી સિંચાઈ સુવિધા ઊભી કરી છે, જેથી ભરઉનાળે સિંચાઈના પ્રશ્નનું કાયમી નિરાકરણ પણ મળ્યું છે.
ઓછાં બીજવાળાં અને અતિસ્વાદિષ્ટ તાઈવાની તરબૂચની ખેતીનો આ વર્ષે પ્રયોગ કર્યો છે. પ્રવીણભાઈને પ્રથમ પ્રયાસે જ સફળતા મળી છે. અધૂરામાં પૂરું, કેન્દ્ર અને રાજ્ય સરકારની 31 લાખની યોજનાકીય સબસિડી મળતાં તેમને કૃષિમાં અવનવા પ્રયોગો કરવા માટે પાંખો મળી છે.
પ્રવીણભાઈના કહેવા અનુસાર, તરબૂચનું વાવેતર કર્યાના 90 દિવસના સમયગાળામાં તરબૂચનું ઉત્પાદન થવા લાગે છે, જેથી 9 એકરમાંથી અંદાજે 140 ટન જેટલાં તાઈવાની તરબૂચ પાકશે. પ્રવીણભાઈએ સાહસ કરીને જોખમભરી ખેતી હોવા છતાં રંગબેરંગી તરબૂચ ઉગાડ્યાં છે. તેમણે કહ્યું હતું કે ‘નાન્યુ ઈન્ડિયા’ મૂળ તાઈવાનની કંપની છે. એનાં બીજમાંથી બનતા રોપા પુણેથી ખરીદીને વાવેતર કર્યું છે. આ તરબૂચ સામાન્ય તરબૂચ કરતાં વધુ મોંઘાં વેચાય છે.
હાલના સમયમાં પરંપરાગત ખેતીમાં ખર્ચ વધવાને કારણે ખેડૂતોને નફો ઘણો ઓછો થાય છે, તેથી ખેતીની હાઈટેક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એને કારણે ખેતી નુકસાનને બદલે નફાકારક સાબિત થશે અને યુવા ખેડૂતોનો ખેતી પ્રત્યેનો મોહભંગ પણ અટકશે. આજ સુધી માર્કેટ યાર્ડ સુધી પાકને લઈ જવાની જરૂર જ પડી નથી, પણ સોશિયલ મીડિયા અને મિત્રો-પરિચિતોના ગ્રુપમાં સીધું જ વેચાણ થઈ જતું હોવાનું પ્રવીણભાઈએ કહ્યું હતું.