Valsad : નશાના કાળા કારોબારનો પર્દાફાશ, 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2ની ધરપકડ
વલસાડ રૂરલ પોલીસને ગાંજાની હેરાફેરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળી હતી.એક ગાડીમાં મુંબઈથી અમદાવાદ તરફ 2 શખ્સો ગાંજો લઇ જવાના હોવાની બાતમીના આધારે પોલીસ નેશનલ હાઈવે 48 ઉપર વોચ ઉપર બેઠી હતી.
ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.આ વખતે વલસાડ ગ્રામ્ય પોલીસે 61 કિલો ગાંજો ઝડપી પાડી 2 શખ્સોની ધરપકડ કરી છે.જે મૂળ ઓરિસ્સાના છે અને કારમાં ગાંજો લઇ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.
નશાના કાળો કારોબારનો પર્દાફાશ
વલસાડ રૂરલ પોલીસને ગાંજાની હેરાફેરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળી હતી.એક ગાડીમાં મુંબઈથી અમદાવાદ તરફ 2 શખ્સો ગાંજો લઇ જવાના હોવાની બાતમીના આધારે પોલીસ નેશનલ હાઈવે 48 ઉપર વોચ ઉપર બેઠી હતી.એ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાની કોશિષ કરી હતી.જોકે પોલીસને જોઇને પારખી ગયેલા આરોપીઓએ ગાડી ભગાવી હતી.જેથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરીને પોલીસે ગાડીને રોકી હતી.
જોકે અંદર ઝડતી લેતા પોલીસ હતાશ થઇ ગઈ હતી કેમકે અંદર કશુજ મળ્યું ન હતું.જોકે ચોક્કસ બાતમી હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ગાડીમાં ચોર ખાનામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થાનું વજન કરતા 61 કિલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ગાંજા સહીત આરોપીઓને ઝડપી પાડ્યા છે.
કોણ છે આરોપીઓ ?
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી પીન્ટુ વનમાલી શેટ્ટી અને રામચંદ્ર વૃંદાવન બહેરા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ગાંજો સુરત તરફ લઇ જઈ રહ્યા હતા. આ નશીલા કારોબારના મુખ્ય સૂત્રધાર અને ગાંજો મંગાવનાર સિકંદર નામના આરોપી હોવાનું સામે આવ્યું છે. જેને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
જોકે ઓરિસ્સા બાદ આરોપીઓ અન્ય રાજ્યોની પોલીસથી બચવા માટે આ ગાડીમાં છુપા ચોર ખાના બનાવ્યા હતા. આથી તેઓ ઓરિસ્સાથી નીકળ્યા બાદ વચ્ચે આવતા રાજ્યોને સફળતા પૂર્વક પસાર કરી ચૂક્યા હતા.પરંતુ તેમને ન હતી ખબર કે વલસાડ રૂરલ પોલીસ પહેલાથીજ તેમના સ્વાગત માટે તૈયાર ઉભી છે. અને વલસાડની હદ્દમાં ઘુસ્તાની સાથેજ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા.
શું છે નશાનું નેટવર્ક ?
છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લામાંથી નશીલા કારોબારના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે.વલસાડ જાણે નશાની દુનિયાનું હબ બની રહ્યું હોય એમ લાગી રહ્યું છે.વલસાડમાંથી એમ.ડી ડ્રગ્સનું કારખાનું પણ ઝડપાઈ ચુક્યું છે.
તો એમ.ડી ડ્રગ્સની હેરાફેરી દરમિયાન પણ વલસાડ પોલીસે અનેક લોકોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.ત્યારે હવે ફરી વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે.એટલે કે નશીલા વેપલા ચલાવતા ઈસમો ગુજરાત ને ઉડતા ગુજરાત બનવવા નું ષડ્યંત્ર રચ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.