Surat : હવે ગુનેગારોની ખેર નથી, રેલવે સ્ટેશન પર લાગશે અત્યાધુનિક કેમેરા, ગુનેગારોના ચહેરા થશે કેમેરામાં કેદ
સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર કેમેરાની સિસ્ટમ નબળી પડી ગઈ છે. જેને કારણે અનેક ગુના થતા હોવા છતા સીસીટીવીમાં ઝડપાતા નહોતા. સુરત રેલવે સ્ટેશન પર આગામી 2 મહિનામાં અદ્યતન કેમેરા નાખી દેવામાં આવશે. જેના કારણે રેલ્વે પરીસરમાં થતા ગુના અને ગુનેગારો કેમેરામાં કેદ થઈ જશે.
સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર ગુનાખોરી આચરનારા ગુનેગારો સામે પશ્ચિમ રેલવેએ લાલ આંખ કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર અદ્યતન સીસીટીવી કેમેરા (CCTV Camera) નાખવાનું કામ શરૂ કરાયું છે. જેના કારણે રેલવે સ્ટેશનના પરિસરમાં ગુનાખોરોના ચહેરા સીસીટીવી કેમેરામાં કેદ કરાશે.
આ સાથે જ ગુજરાતના અમદાવાદ વડોદરા, મુંબઇ રેલવે સ્ટેશન સહિતના અલગ-અલગ સ્ટેશન પર ગુનેગારી કરનારા ગુનેગારોના ફોટા પણ અન્ય સ્ટેશન ઉપર મોકલી આપીને રેલવેની જીઆરપી અને આરપીએફ એકબીજાને મદદ કરશે.
સુરત રેલવે સ્ટેશન પર હાલ કેમેરાની સ્થિતિ ખરાબ હાલતમાં રહે છે. સ્ટેશન પરિસરમાં કેટલાક કેમેરા તો બંધ પડેલા છે. ઉપરાંત કેમેરાની સંખ્યા પણ ઓછી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર કેમેરા જ નથી. હાલ સ્ટેશન પર કેમેરાની સંખ્યા માત્ર 35 થી 40 છે. જેમાંથી અંદાજે 10 કેમેરા તો બંધ હાલતમાં છે. ત્યારે શહેરમાં સ્ટેશન પર મુસાફરોની સંખ્યા મોટી માત્રામાં છે. કેટલા ગુનાખોરી કરીને વતન પરત ઘરે ભાગી જાય છે. તેના ફોટા પણ કેમેરામાં આવતા નથી. અને જો ચહેરા આવે છે તો તેના ચહેરા પણ દેખાતા નથી.
સુરત રેલવે સ્ટેશન પર કેમેરાની સિસ્ટમ હવે એકદમ નબળી થઇ ગઈ છે. આ બાબતે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. જેના કારણે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર અદ્યતન કેમેરાની ચર્ચા કર્યા બાદ તેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.
ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને કોન્ટ્રાક્ટ આપી દેતાં હવે સુરત રેલવે સ્ટેશન પર કેમેરા ના વાયર નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેની ડેડલાઈન 30 ઓગસ્ટ રાખવામાં આવી છે. એટલે કે આગામી બે મહિનામાં સુરત રેલવે સ્ટેશન પર અદ્યતન કેમેરા નાખી દેવામાં આવશે.જેમાં પિટિઝેડ ત્રણ કેમેરા, 4K 20 કેમેરા અને 63 એચડી કેમેરા લગાવવામાં આવશે.