SURAT : મનપામાં કલાર્કની નોકરી અપાવવાની લાલચે યુવક સાથે સાડા 3 લાખની ઠગાઇ, આરોપીની ધરપકડ
આરોપીએ અજય વાઘેલાને પોતાની ઓળખ ડિસ્ટ્રીકટ કોર્ટના આસિ. તરીકે આપી હતી. અજય વાઘેલાએ સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ કર્યો હોવાથી પોતાની મનપાના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની વાતો કરી મનપામાં કલાર્કની નોકરી અપાવવાની લાલચ આપી હતી.
સુરત (Surat) ડિસ્ટ્રીકટ કોર્ટના જજના આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપી મનપામાં કલાર્કની નોકરી (job) આપાવવાની લાલચે, પુણાગામના વાળંદ યુવક પાસે રૂ. 3.50 લાખ પડાવી ઠગાઈ (Fraud) કરનારા અરવિંદ મકવાણાની કતારગામ પોલીસે વતન ખાતેથી ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધો છે.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે કતારગામ ગજેરા સ્કુલની પાસેની લક્ષ્મી એન્કલેવ બિલ્ડીંગમાં એવન્યુ સલુનમાં નોકરી કરતી વેળાએ સંપર્કમાં આવેલા અરવિંદ મકવાણાએ હાલ પુણાગામ સ્થિત ભવાની સોસાયટી સામે આવેલા કલ્યામનગર સોસાયટીમાં રહેતા અને સ્થાનિક વિસ્તારમાં પોતાનું સલુન ચલાવતા 22 વર્ષીય અજય ભરતભાઈ વાઘેલાને પોતાની ઓળખ ડિસ્ટ્રીકટ કોર્ટના આસિ. તરીકે આપી હતી. અજય વાઘેલાએ સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ કર્યો હોવાથી પોતાની મનપાના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની વાતો કરી મનપામાં કલાર્કની નોકરી અપાવવાની લાલચ આપી હતી.
જે માટે મનપા કમિશ્નરને વહેવાર કરવો પડશે કહી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તારી નોકરીનો એપ્રુવલ લેટર આવી ગયો છે. તારી નોકરી પાકી થઈ ગઈ છે. કહી રૂ. 3,50,000ની રકમ પડાવી લઈ મનપાના કમિશ્નરના સિકકા અને સહિવાળો લેટર પકડાવી ઠગ અરવિંદ મકવાણા મોબાઈલ ફોન બંધ કરી રફુચકકર થઈ ગયો હતો. જે મામલે ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદ સંદર્ભે તપાસ કરી રહેલા કતારગામ પોલીસે એક ટીમ રવાના કરી વતન ભાગી ગયેલા ઠગ અરવિંદ ઉર્ફે અભી મનજીભાઈ મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં જ્યારે પણ કોઈપણ ભરતી થાય ત્યારે પણ લેભાગુ તત્વો માર્કેટમાં સક્રિય થઈ જતા હોય છે. અને જે લોકો ફોર્મ ભરતા હોય કે પછી પરીક્ષા આપતા હોય તેવા લોકોના કોન્ટેક કરીને છેતરપિંડી કરતા હોય પણ ખરેખર આવા લોકો સામે પરીક્ષા આપતા લોકો અને જે લોકો આવી લાલચમાં આવી જાય છે. તેમને આવા ટોળકીઓથી બચવું જોઈએ. આ તો ફરિયાદ થાય એટલે કિસ્સાઓ સામે આવી છે. પણ કેટલાક કિસ્સો માં ફરિયાદીઓ સામે નથી આવતા નથી. તો સુરત તો ઠીક પણ ગુજરાતમાં દરરોજ અઢળક કિસ્સો સામે આવે છે અને અનેક ફરિયાદીઓ પણ નોંધાયા છે. જેથી ટીવી નાઈન દ્વારા મારફતે આપ સૌને ચેતવીએ છીએકે આવા લેભાગુ તત્વોથી સાવચેત રહેવું. કારણ કે જ્યારે લોકો લેભાગુ તત્વોની વાતોમાં આવી જતા હોય છે. ત્યારે રૂપિયા આપ્યાનો કોઈ પુરાવો હોતો નથી જેથી ફરિયાદ પણ કરી શકતા નથી.
આ પણ વાંચો : રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ
આ પણ વાંચો : Corona: અંબાજી મંદિર હવે આગામી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે