Rajkot : માલવિયાનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ પર હુમલો કરનાર વધુ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી
કુકી ભરવાડ નામના શખ્સને મારામારીના ગુનામાં પકડવા માટે પહોંચી હતી ત્યારે કુકી ભરવાડની સાથે આ શખ્સોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો.
રાજકોટમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ (Rajkot Police) પર હુમલો કરનાર વધુ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં ફરાર મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ સહિત પાંચને પકડી પાડીને કાયદાનું ભાન કરાવ્યુ છે. પોલીસના કહેવા પ્રમાણે આ તમામ શખ્સો ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે. કોણ છે આ શખ્સો અને કેવી છે તેની ક્રાઇમ કુંડળી ચાલો જોઈએ આ અહેવાલમાં.
આ શખ્સો પર આરોપ છે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઇ અને તેની ટીમ પર હુમલો કરવાનો. ગત ત્રીજી એપ્રિલના રોજ માલવિયાનગર પોલીસના ડી સ્ટાફની ટીમ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર કુકી ભરવાડ નામના શખ્સને મારામારીના ગુનામાં પકડવા માટે પહોંચી હતી, ત્યારે કુકી ભરવાડની સાથે આ શખ્સોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં એક પીએસઆઇ અને બે કોન્સટેબલને ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ શખ્સો ફરાર હતા જો કે પોલીસે બાતમીના આધારે આ પાંચેય શખ્સોને પકડી પાડ્યા છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના કહેવા પ્રમાણે આ તમામ શખ્સો રીઢા ગુનેગાર છે, જ્યારે પોલીસ કુકી ભરવાડને પકડવા માટે પહોંચી હતી ત્યારે રાજુ સંગ્રામે ત્યાં રહેલા લોકોને ઉશ્કેર્યા હતા અને કુકીને શા માટે પકડી રહ્યા છો તેવું કહીને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે રાજુ સંગ્રામ રીઢો ગુનેગાર છે. જેની સામે મારામારી લૂંટ અને હથિયાર ધારાનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. જ્યારે ભરત,રાજેશ અને રતુ સામે મારામારીના ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે, જ્યારે નવધણ સામે વ્યાજના ગોરખધંધો કરતો હોવાનું પણ સામે આવ્યુ છે.
હાલ તો પોલીસે આ પાંચેય શખ્સોની ઘરપકડ કરી છે, જ્યારે આ ગેંગનો હજુ એક આરોપી ફરાર છે જેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે આરોપીઓના રિમાન્ડ લેવા જઇ રહી છે, ત્યારે આ શખ્સો સાથે અન્ય કોઇ સંકળાયેલા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે કુકી ભરવાડના આતંકને પ્રોત્સાહન આપનાર આ તમામ શખ્સોને પોલીસે કાયદાના સકંજામાં લઇને કાયદાનું ભાન કરાવ્યુ છે. ત્યારે પોલીસે કુકી ભરવાડના આતંકનો શિકાર બન્યા હોય તેવા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ પણ કરી છે.