Rajkot : ગોંડલ સૈનિક સોસાયટીના યુવાનની નિર્મમ હત્યામાં ઝડપાયો બાળ આરોપી, અન્ય ત્રણની શોધ
લાશને બાવળની ઝાડીમાં નાખી ડેમ ખાતે કપડાં ધોવા અને નહાવા પહોંચી ગયા હતા. ફરી સ્થળ ઉપર આવી લાશને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધી હતી.
ગોંડલ (Gondal) સૈનિક સોસાયટીમાં રહેતા યુવાનને 30થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો (Murder). બાદમાં કૂવામાં લાશ ફેંકી દીધાની ઘટનામાં પોલીસે યુવાનના મિત્ર બાળ આરોપીને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી હતી. પોપટ બની ગયેલાં આરોપી એ વટાણાં વેરી નાખતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. હત્યા માં બીજું કોઈ નહીં પણ મૃતકનાં ત્રણ મિત્રો જ સંડોવાયેલા હતા. તપાસના ચક્રોગતિમાન કરી નાસી છુટેલાં હત્યારાઓને ઝડપી લેવાં દોડધામ શરું કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 21) ની ગત તારીખ 25 એપ્રિલ ના છરીઓના 30થી વધુ ઘા હત્યા કરાયેલ હાલતમાં કૂવામાંથી લાશ મળી આવી હતી. પોલીસે તપાસના ચક્રોગતિમાન કરી સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ ના મિત્ર બાળ આરોપી ને ઝડપી લીધો હતો. બાદમાં પૂછપરછ કરતા તે પોપટ બની ગયો હતો અને સઘળી હકીકત જણાવી હતી.
તમામ હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અજયસિંહની હત્યામાં તેના જ મિત્રો જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા, વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઈ બારડ તેમજ સચિન રસિકભાઈ ધડુક શામેલ હતા. હત્યા બાદ નાસી છૂટેલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગત જાન્યુઆરીમાં રામ દ્વાર પાસે એસટી બસ ઉપર પથ્થરમારો થવા પામ્યો હતો જેમાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉપરોક્ત આરોપીઓના નામ આપ્યા હતા. જેનો ખાર રાખી અજયસિંહ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બસ પર પથ્થરમારાની ઘટના બાદ ઉપરોક્ત આરોપીઓએ અજયસિંહ દારુ વેચતો હોવાનું પોલીસને જણાવી તેની ઘરે દરોડા પડાવ્યા હતા. અને વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો.
બાદમાં અજયસિંહ ના બહેન રાજકોટ ખાતે સ્પા ચલાવતા હોય અજયસિંહ ને ત્યાં લઈ ગયેલા હતા. પરંતુ હાલ કોરોનાની સ્થિતિમાં રાજકોટમાં લોકડાઉન ની સ્થિતિને કારણે અજયસિંહ તેની માતા પાસે ગોંડલ આવ્યો હતો. જેની જાણ આરોપીઓને થતાં અજયસિંહ ની તલાશ માં રહેલા આરોપીઓએ તારીખ 25ના રોજ અજયસિંહની હત્યા કરી નાંખી હતી.
અજયસિંહ ગુમ થયા બાદ રાજકોટ સ્થિત તેમના બહેન હિનાબા એ પોલીસ ફરિયાદમાં ઉપરોક્ત આરોપીઓના શકમંદ તરીકે નામ આપતા પોલીસ નું કામ સરળ બન્યું હતું અને પોલીસે તુરંત સગીર આરોપી ને ઉઠાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. નાસી છુટેલા મુખ્ય ત્રણે આરોપીઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓએ સૈનિક સોસાયટીની પાછળ આવેલ પાનની કેબીનની પાછળ અજયસિંહ ને વિવેક અને સચિને પકડી રાખ્યા હતા જ્યારે જયવીરસિંહએ 30થી વધુ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા બાદમાં લાશને બાવળની ઝાડીમાં નાખી ડેમ ખાતે કપડાં ધોવા અને નહાવા પહોંચી ગયા હતા મોડીરાત્રીના ફરી સ્થળ ઉપર આવી લાશને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધી હતી લાશને ઠેકાણે પાડતી વેળાએ બાળ આરોપી હાજર ન હતો બીકને લીધે ઘરે જ સુઈ ગયો હતો.