વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
આ બેઠકમાં SITના અધિકારીઓ તેમજ DGP સહિતનાઓ હાજર રહ્યા હતા.પોલીસ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ટીમે કેસનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.
GANDHINAGAR : વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે.ત્યારે આ કેસ મામલે ગૃહ વિભાગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં SITના અધિકારીઓ તેમજ DGP સહિતનાઓ હાજર રહ્યા હતા.પોલીસ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ટીમે કેસનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કેસ અંગે તલસ્પર્શી સમિક્ષા કરી હતી, તેમજ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા સુચના આપી હતી.
આ અંગે જાહેર કરવામાં આવેલી એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે વડોદરા આત્મહત્યા અને દુષ્કર્મ કેસ બાબત તા : 27/11/2021 ના રોજ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ યુવતીના આત્મહત્યા અને દુષ્કર્મ કેસ અંગે આ ગુનાની તાત્કાલિક તપાસ થાય અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક શોધીને ધરપકડ કરવામાં આવે તે અંગે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ ગુનાની તપાસ સીટ દ્વારા કરવામાં આવે તે અંગે હુકમો કરવામાં આવેલ.
આ કેસની પ્રગતિ અંગે આજરોજ ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશક અને આ SIT સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવેલ. જે બેઠક આશરે અઢી કલાક સુધી ચાલેલ. આ બેઠકમાં SIT સાથે સંકળાયેલ દરેક ટીમ કઇ – કઇ દિશામાં કામ કરી રહી છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. ઉપરોક્ત ગુનાના તમામ પાસાઓ અને પોલીસ દ્વારા રચાયેલી ટીમનો પ્રગતિ અહેવાલ રજૂ થયેલ અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ કેસમાં સંડોવાયેલ આરોપીઓને શોધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે બાબતની સુચના પણ કરવામાં આવેલ.
આ પણ વાંચો : ચાલુ બસમાં સુરતની 15 વર્ષની કિશોરી પર બળાત્કાર, આરોપીની POCSO એક્ટ હેઠળ ધરપકડ
આ પણ વાંચો : મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો