Ahmedabad: પતિને જોઈતી હતી લકઝુરીયસ કાર તો સાસુ કરતા પૈસાની માંગણી, 3 મહિનાના લગ્નજીવન બાદ પરણિતાએ કર્યો આપઘાત
દહેજની આગમાં વધુ એક દીકરી ભોગ બની. અમરાઈવાડીમાં 3 મહિનાના લગ્ન જીવન બાદ યુવતીએ આપઘાત કરી લીધો છે. દહેજના લાલચુ સાસરિયાનો માનસિક ત્રાસ સહન ન થતા પરણીતાએ અંતિમ પગલું ભરી લીધું.
Ahmedabad: દહેજની આગમાં વધુ એક દીકરી ભોગ બની. અમરાઈવાડીમાં 3 મહિનાના લગ્ન જીવન બાદ યુવતીએ આપઘાત કરી લીધો છે. દહેજના લાલચુ સાસરિયાનો માનસિક ત્રાસ સહન ન થતા પરણીતાએ અંતિમ પગલું ભરી લીધું. હાલ પોલીસે પતિ સહિત 4 લોકો વિરુદ્ધ આત્મહત્યાના દુષપ્રેરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લગ્નના સોનેરા સપના જોઈને અમદાવાદ આવેલી યુવતીને પતિનો પ્રેમ કે સાસરિયામાં સુખ નહીં પરંતુ મોત મળ્યું. અમરાઈવાડીમાં રહેતી પ્રીતિ સિંગએ દહેજના લાલચુ પતિ અને સાસરિયાના ત્રાસથી 26 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો હતો. 3 મહિનાના લગ્ન જીવનમાં જ પ્રીતિએ સંસાર શરૂ કરવાના બદલે જિંદગીને અલવિદા કરી લીધી છે. બિહારના પટનામાં રહેતા ભાઈને પોતાની બહેનના આપઘાતના સમાચાર મળતા તેઓ આઘાતમાં આવી ગયા હતા.
મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પતિ અને સાસરિયાના દહેજની સતત માંગણી અને માનસિક ત્રાસના કારણે જ પ્રીતિએ આપઘાત કર્યો છે. જેથી અમરાઈવાડી પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ દુષપ્રેરણનો ગુનો નોંધ્યો છે.
પ્રીતિના લગ્ન અમદાવાદના નવનીત રાજપૂત સાથે તાજેતરમાં 14 મેં 2021 ના રોજ થયા હતા. પ્રીતિના પરિવારે ધામધૂમથી લગ્ન કરીને હસીખુશી બેનની વિદાય કરી હતી. નવનીત ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રીતિ પટનાના ગામડાની રહેવાસી હતી. જેથી પહેરવેશને લઈને તેને હેરાન કરવામા આવતી હોવાનો આક્ષેપ પરિવાર કર્યો હતો.
એટલું જ નહીં પતિ નવનીતને લકઝરીયસ કાર અને તેની સાસુ ઉર્મિલા સિંગ, નણંદ મમતા સિંગ અને જેઠ પ્રવિણ સિંગને પાંચ લાખ રૂપિયા જોઈતા હતા. જેથી લગ્નના એક માસ બાદ પ્રીતિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પ્રીતિએ પોતાની વેદના મોટા ભાઈને કહી. ભાઈએ પણ દહેજ આપશે તેવી વાત કરીને સમય માંગ્યો. પરંતુ ભાઈની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાની જાણ પ્રીતિને હતી. જેથી લાલચુ સાસરિયાનો ત્રાસ સહન નહિ થતા પ્રીતિએ આપઘાત કરી લીધો હતો. હાલ અમરાઈવાડી પોલીસે પ્રીતિના આપઘાતની તપાસ શરૂ કરી છે.
પ્રીતિના આપઘાત બાદ તેનો પતિ અને સાસરિયા પક્ષના લોકો ઘરે તાળું મારી ફરાર થઈ ગયા છે. અમરાઈવાડી પોલીસ પ્રીતિના પતિ નવનીત સિંગ રાજપૂત, જેઠ પ્રવીણ સિંગ, સાસુ ઊર્મિલાબેન અને નણંદ મમતા વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણ, શારીરિક માનસિક ત્રાસ અને ગુનાહિત મદદરૂપની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી છે.