પરિવારના સતામણીના શિકાર બનેલા દાદીનો આ દર્દનાક કિસ્સો જાણ્યા બાદ તમે પણ કહેશો ‘Salute Surat Police’!
Varachha : કાંતાબેનની પુત્રવધુ દ્વારા તેમના પર કરવામાં આવી રહેલા અત્યાચારનો વિડીયો કોઈએ પોલીસને મોકલી આપ્યો હતો.
SURAT : જેની આંગળી પકડીને મોટા થયા હોય, જેના હાથનો કોળિયો ખાઈને પેટ ભર્યું હોય અને જેના ખભે બેસીને દુનિયા જોઇ હોય એ જ માતા પિતા જ્યારે ઉંમરના અંતિમ પડાવ પર પહોંચે છે ત્યારે તે સંતાનો માટે બોજ બની જાય છે. આવા અનેક કિસ્સા આપણે જોયા અને સાંભળ્યા હશે. ત્યારે સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
પુત્રવધુએ આપ્યો શારીરિક અને માનસિક ત્રાંસ સુરત (SURAT) ના વરાછા વિસ્તારમાં રહેતા કાંતાબેન સોલંકીની ઉંમર 85 વર્ષની છે. ઉંમર થતા તેઓ તેમના 3 દિકરાઓ પર નિર્ભર રહે છે. ત્રણેય દીકરાઓ આ માજીને એક એક મહિનો પોતાના ઘરે રાખતા હતા. છેલ્લા 6 મહિનાથી તેમના બે સંતાનોએ તેમને સાચવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે તેઓ તેમના ત્રીજા પુત્રના ઘરે રહેતા હતા.
કાંતાબાની તબિયત માનસિક શારીરિક રીતે નબળી રહેતી હતી. પણ આ ઉંમરે તેમનો સાથ હૂંફ આપવાના બદલે પુત્ર અને પુત્રવધુ બંને માટે તેઓ બોજ બની ગયા. અવારનવાર તેમના પર તેઓ માનસિક અને સૌથી વધારે શારીરિક ત્રાસ ગુજરતા હતા. પાડોશીઓ પણ આ વાતથી પરિચિત હતા.
પોલીસે વૃદ્ધાને બચાવ્યા કાંતાબેનની પુત્રવધુ દ્વારા તેમના પર કરવામાં આવી રહેલા અત્યાચારનો વિડીયો કોઈએ પોલીસને મોકલી આપ્યો હતો. વિડીયોમાં દેખાય છે કે કઈ રીતે પુત્રની હાજરીમાં પુત્રવધુ 85 વર્ષના માજી પર હાથ ઉપાડે છે. પોલીસને જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક જ ત્યાં પહોંચી હતી અને વૃદ્ધાને બચાવ્યા હતા.
પોલીસે માતાની જેમ કાંતાબેનની સેવા કરી પોલીસ જવાનોએ કાંતાબેનની માતાની જેમ દેખરેખ રાખી હતી. તેમને જમાડ્યા હતા. તેમના પુત્ર અને પુત્રવધુને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, જોકે માતાનું હૃદય પણ જુઓ કે ત્રાસ આપનાર પોતાના પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ કરવાને બદલે તેઓએ તેમને માફ કરી દીધા હતા. પરંતુ તેમની સાથે રહીને તેમના માથે ભાર બનવા કરતા તેઓએ પોતાને વૃદ્ધાશ્રમ મોકલી આપવા પોલીસને વિનંતી કરી હતી.કાંતાબેનની વિનંતી સ્વીકારીને પોલીસે કોર્પોરેટર મધુબેન ખેનીના વૃદ્ધાશ્રમમાં તેમને મોકલી આપ્યા હતા.
કાંતાબેનના શરીર પર ઈજાના નિશાન કોર્પોરેટર મધુબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માજીને જ્યારે કાંતાબેનને નવડાવ્યા ત્યારે તેમના આખા શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. કાંતાબેન કંઈ બોલી શકતા નથી પણ તેમની ચુપકીદી અને આંખોના આંસુ પથ્થર હૃદયને પણ કંપાવી દે છે.
આ પણ વાંચો : AHMEDABAD: એક ટેટુના કારણે અસલાલીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતો બનાવ