Dahod: નજીવી બોલાચાલીમાં બે માસુમનો મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની ધરપકડ, હત્યા કર્યાની કરી કબુલાત
શોધખોળના અંતે પણ બંને બાળકો મળી ન આવતાં આ મામલે ધાનપુર પોલીસને (Dhanpur Police) જાણ કરવામાં આવી હતી. જેના પગલે ધાનપુર પોલીસ, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા અન્ય પરિવારજનોના ઘરે તેમજ નજીકના જંગલ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી.
દાહોદ (Dahod) જિલ્લાના ધાનપુર તાલુકાના કાટું ગામના બે બાળકોના હત્યા (Murder) કરાયેલા મૃતદેહ મળી આવવાની ઘટનામાં આરોપીને પોલીસ ઝડપી લીધો છે. કાંટુ ગામના આ બંને બાળકો સગા ભાઇ છે. બંને ભાઇ ત્રણ દિવસ પહેલા ગુમ થયા હતા. જે પછી આ સગા ભાઇઓના હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. જેને પગલે દાહોદ પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે દાહોદ પોલીસે (Dahod Police) સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.
દાહોદ જિલ્લાના કાંટુ ગામે પુરા ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ સોમાભાઈ બામણીયાના પુત્ર દિલીપ (ઉ.વ. 10) તથા રાહુલ (ઉ.વ. 5) બંન્ને બાળકો 10 મેના રોજ નજીકમાં રહેતા શંકરભાઈ વીરસીંગભાઈ બામણીયાના ઘરે રમતા હતાં. તે દરમ્યાન કાટું ગામનો રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા લાલ કલરની મોટરસાઈકલ લઈને સાંજના આઠ વાગ્યાના આસપાસ આવ્યો હતો. બંન્ને ભાઈઓને ટીફીન જમાડવાની લાલચ આપી મોટરસાઈકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો. આ બાદ બંન્ને ભાઈઓ ઘરે પરત ન આવતાં તેમના પરિવાજનોએ બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી.
શોધખોળના અંતે પણ બંને બાળકો મળી ન આવતાં આ મામલે ધાનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ધાનપુર પોલીસ, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા અન્ય પરિવારજનોના ઘરે તેમજ નજીકના જંગલ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે જેસાવાડા રોડ ઉપર કાટું ગામના સીમ પાસે પાણીના ટાંકાની બાજુમાં પથ્થરો નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તે પછી અન્ય એક બીજો મૃતદેહ કાંટુ ગામની અંદર સાત-આઠ કિલોમીટર દુર ગામના સીમાડામાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બંન્ને બાળકોના મૃતદેહ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને ધાનપુર સરકારી દવાખાનમાં પી.એમ. માટે મોકલ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને બાળકોની હત્યા કરી મૃતદેહને સગેવગે કરવાના ઈરાદે હત્યારા દ્વારા હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જે પછી બાળકના પિતા નરવતભાઈ સોમાભાઈ બામણીયા દ્વારા તેમના બાળકોનું અપહરણ કરનાર રાજેશ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
ધાનપુર પોલીસે ગુનાની ગંભીરતા દાખવી સમગ્ર કેસ મામલે અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમા હત્યા કરનારા આરોપી રાજેશ મોહનીયાને રાછવા ધાટાની ખજુરી ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો. જે પછી આરોપીએ પોતે બંને બાળકોના પિતા નરવતભાઈ સરકારી ટયૂબવેલ ખાતે પાણી છોડવાનુ કામ કરતા હોવાનું જણાવ્યુ હતુ. નજીવી બાબતે નરવતભાઈ સાથે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખી બાળકોનું મોટરસાઈકલ ઉપર અપહરણ કરી, બંનેની હત્યા કરી મૃતદેહને અલગ અલગ જગ્યાએ નાખી દીધા હોવાની કબુલાત કરી હતી.