BHAVNAGAR : સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો, સહેલી અને તેના પ્રેમીએ હત્યા કર્યાનું ખુલ્યું
વરતેજ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલી બાતમીને શંકાના પરિઘમાં આવેલ મૃતક સગીરા ભૂમિબેનની સહેલીનું જે તરુણી હોય તેની પૂછપરછ હાથ ધરી
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા સિદસર ગામે રહેતા તેના મામાના પરિવાર સાથે થોરડી ગામે માંડવા પ્રસંગે ગઈ હતી, ત્યાંથી રાત્રિના લાપતા બન્યા બાદ શુક્રવારે થોરડી ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી એક તરુણી અને તેના સિદસર ગામે રહેતા તેના પ્રેમીને પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરતાં ગુનાની કબૂલાત આપી હતી. મૃતક સગીરા તેના પ્રેમ પ્રકરણની ચર્ચા કરતી હોવાની આશંકા રાખી સહેલીએ પ્રેમી સાથે મળી ગળું દબાવી સગીરાના મૃતદેહને ફેંકી દીધો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ કુંભાર શેરીમાં રહેતી ભૂમિબેન કિશોરભાઈ ધંધુકિયા ઉંમર 16 વર્ષ, ગઈ 16 તારીખ ના રોજ એના મામાના ઘરે ગઈ હતી. ત્યાંથી મામાના પરિવાર સાથે થોરડી ગામે માંડવા પ્રસંગે ગયા બાદ રાત્રિના અરસામાં લાપતા બનતા પરિવારજનોએ વ્યાકુળ બની તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ અત્તોપત્તો ન મળતા તારીખ 19ના રોજ સગીરાના માતાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અપહરણની કલમ તળે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
દરમિયાન ગઇકાલે સાંજના અરસા દરમિયાન થોરડી ગામે તળાવમાંથી કોહવાયેલ ગયેલી હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો સંભાળી પેનલ પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવાની કરાઈ હતી, જ્યારે પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકના શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકા જાગી હતી. અને પીએમ રિપોર્ટ આવતા સગીરાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
હત્યાની ઘટના સામે આવતા વરતેજ પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી વરતેજ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલી બાતમીને શંકાના પરિઘમાં આવેલ મૃતક સગીરા ભૂમિબેનની સહેલીનું જે તરુણી હોય તેની પૂછપરછ હાથ ધરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. મૃતક ભૂમિબેન સહેલી કિશોરી અને તેના મિત્ર કાર્તિક ભરતભાઈ ડુમરાળિયા ઉંમર 21 તેઓની વાતો કરી બદનામ કરતી હોવાને લઇ મોડીરાત્રે ભૂમિ ને 17 વર્ષીય તરૂણીએ તેના મિત્રને બતાવવાના બહાને માંડવાથી તળાવ કિનારે લઇ જઇ સમજાવી હતી.
પરંતુ તે ના માનતા કાર્તિક સાથે મળી ભૂમિનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હોવાની હકીકત સામે આવી હતી. વરતેજ પોલીસે હત્યા મામલે આવેલી તરુણી અને કાર્તિક ડુમરાળિયા અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. કાર્તિક શામળદાસ કોલેજમાં ટીવાય બીએમાં અભ્યાસ કરતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.