BHAVNAGAR : ત્રણ વર્ષ પૂર્વે થયેલા હત્યા કેસમાં કોર્ટે સાત આરોપીને આજીવન કેદની સજા ફટકારી
આજરોજ ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં 3 વર્ષ પૂર્વે બનેલા હત્યા કેસમાં સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીઓને રૂ.4.20 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
BHAVNAGAR : શહેરના છેવાડે ઘોઘારોડ, ચકુ તલાવડી પાસે ત્રણેક વર્ષ પૂર્વે અલ્ટોકાર લઈ મિત્રો સાથે જમવા ગયેલ યુવાન અને તેના મિત્રો પર સાત શખ્સોએ તલવાર, પાઈપ, ધોકા સહિતના હથીયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજા પહોંચતા યુવાનને ગંભીર ઈજા સાથે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં લાંબી સારવાર બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમી હતી. અને, આ બનાવની તેના મિત્ર અજય ઉર્ફે પિટર જીણાભાઈ મકવાણા ઉ.વ.24 એ ફરિયાદ નોંધાવતા પોલીસે સાત શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.17 મેં 2018 ના રોજ કરશનભાઈ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટીયાને, કિશોર ઉર્ફે કિશોર ધીરૂભાઈ સોલંકી તથા ભરત ઉર્ફે આપા આલુભાઈ રાછડ સાથે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો. બાદમાં બીજા દિવસે કરશનભાઈ પોતાની અલટો કાર લઈ તેના મિત્ર અજય ઉર્ફે પીટર જીણાભાઈ મકવાણા સાથે ઘોઘારોડ અકવાડા તરફ જમવા જતા હતા. ત્યારે મોડી રાત્રીના ચકુ તલાવડીથી આગળ પહોંચતા કિશોર તથા ભરત સહિત સાત શખ્સોએ તેમની કારને આંતરી કારના કાચ ફોડી તલવાર પાઈપ ધોકા વડે ગંભીર ઈજા પહોચાડી હતી.
જ્યારે બચાવવા જતા અજયને પણ તલવારનો ઘા ઝીકી દીધેલ અને ગંભીર ઈજા કરી નાસી છુટેલ હતા. જ્યારે કરશનભાઈ ઉર્ફે ભાણાને ગંભીર હાલતે અમદાવાદ સારાવાર માટે ખસેડાયેલ જ્યાં અઢ્ઢી માસની સારવાર બાદ તા.1 ઓગષ્ટના રોજ તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ બનાવ અંગે અજય ઉર્ફે પીટરે કિશોર ઉર્ફે કિશન ધીરૂભાઈ સોલંકી ઉ.વ.22, ભરત ઉર્ફે આપા આલુભાઈ રાછડ, સિધ્ધરાજ ઉર્ફે સુર્યા ધીરૂભાઈ માયડા, સોમાભાઈ ઉર્ફે ચંપુ સુરીંગભાઈ રાછડ, કેવલભાઈ ઉર્ફે માયા દિલીપભાઈ વાઘોસી, હાર્દિક ઉમેશભાઈ ઉર્ફે ઉમદાનભાઈ સોનરાજ તથા સતીષ ઉર્ફે બાલા લખુભાઈ પોસાતર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસે તમામ વિરૂધ્ધ આઈપીસી કલમ 302, 326 સહિતની કલમો સાથે ગુન્હો નોંધી તમામ ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની ધારદાર દલીલો અને સાક્ષી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે તમામને કસુરવાર ઠેરવ્યા હતા. અને ડિસ્ટ્રિીકટ એન્ડ સેશન્સ જંજ આર.ટી. વચ્છાણીએ તમામને આજીવન કેદની સજા તથા રૂ.4.20 લાખનો દંડ ફટકાર્યો હતો. અને દંડની રકમમાંથી 50 ટકા ભોગ બનનારના પરિવારને આપવાનું જણાવ્યું છે. આમ ભાવનગરમાં હત્યા કેસમાં એક સાથે સાત આરોપીઓને આજીવન કેદની સજા થતા ચકચાર મચી ગઇ છે.