Bengal Violence: CBIએ ચૂંટણી બાદની હિંસા મામલે શરૂ કરી તપાસ, અધિકારીઓએ મૃતક ભાજપના કાર્યકરના પરિવારની કરી પૂછપરછ
કલકત્તા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર, સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાના કેસની તપાસ શરૂ કરી છે.
કલકત્તા હાઈકોર્ટના (Calcutta High Court) નિર્દેશો અનુસાર, સીબીઆઈએ (CBI) પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાના કેસની (Post Poll Violence) તપાસ શરૂ કરી છે. મતદાન બાદની હિંસાની તપાસ માટે સીબીઆઈ ટીમના સભ્યો બેલિયાઘાટામાં ભાજપના મૃતક કાર્યકર (Dead BJP Worker) અભિજીત સરકારના ઘરે ગયા અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. આપને જણાવી દઈએ કે, અભિજીત સરકારની હત્યાના આરોપો હાલમાં હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે.
જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ અભિજિત સરકારની હત્યા કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરના પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, તે ચૂંટણી બાદની હિંસાનો શિકાર છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, અભિજીતને માર મારવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થયું હતું. સોમવારે સીબીઆઈ તપાસ શરૂ કર્યા બાદ પહેલા અભિજીત સરકારના ઘરે પહોંચી હતી.
મૃત ભાજપના કાર્યકરના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી
બેલિયાઘાટામાં અભિજીત સરકારના પરિવાર સાથે વાત કરવા ઉપરાંત, અભિજિતના ભાઈને સોમવારે સીબીઆઈ હેડક્વાર્ટર, સીજીઓ પરિસરમાં લાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઈ હાઈકોર્ટના નિર્દેશ પર રાજ્યમાં ‘ચૂંટણી બાદની હિંસા’ની તપાસ કરી રહી છે.
હાઇકોર્ટના નિર્દેશ મુજબ સીબીઆઇ હત્યા, હત્યાનો પ્રયાસ અને બળાત્કારના ગંભીર આરોપોની તપાસ કરશે. જ્યારે ચાર આઇપીએસ અધિકારીઓની આગેવાની હેઠળની વિશેષ તપાસ ટીમ અથવા એસઆઇટી ઓછા ગંભીર આરોપોની તપાસ કરશે.
સીબીઆઈએ સોમવારથી રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાના આરોપોને ચાર ઝોનમાં વહેંચી દીધા છે. સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ કોલકાતા આવ્યા છે અને પહેલા દિવસે તેઓએ અભિજીતના કેસની તપાસ શરૂ કરી હતી.
સીબીઆઈની તપાસ ટીમમાં પૂર્વીય ક્ષેત્રના ડીઆઈજી અખિલેશ કુમાર સિંહ ઉપરાંત સીબીઆઈના ચાર જોઈન્ટ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. સીબીઆઈએ શુક્રવારે ચાર સંયુક્ત નિર્દેશકોની આગેવાની હેઠળ ચાર વિશેષ તપાસ ટીમો (એસઆઈટી) ની રચના કરી છે. આ ચાર ટીમોમાં કુલ 30 અધિકારીઓ છે.