બનાસકાંઠા : વધુ એકવાર અનાજ કૌભાંડ ઝડપાયું, દિયોદરમાં સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો
તપાસમાં સમયે ઘઉં તથા ચોખાનો જથ્થો મળી આવતા જે જથ્થાની ખરીદી અંગેના બીલો માંગતા બીલો રજૂ ન કરતાં હોવાથી ઘઉંના કટ્ટા 318 જેની કિંમત 3 લાખ 18 હજાર અને ચોખાના કટ્ટા 378 જેની કિંમત 3 લાખ 96 હજાર તથા ગોડાઉન એક ટ્રક અંદર પડેલું હતું.
બનાસકાંઠામાં વધુ એક વાર અનાજ કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થો પુરવઠા વિભાગે ઝડપી પાડયો છે. સરકારી અનાજના જથ્થા અને ટ્રક સાથે કુલ 8.64 લાખનો મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને તેમજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થાનો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે. થોડા સમય અગાઉ પાલનપુરના સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો ઘઉ અને ચોખાનો જથ્થો બારોબાર વેચવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર અને સુપરવાઇઝર ની પોલીસે ધરપકડ કરી છે. તે દરમિયાન ગત મોડી રાત્રે દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાં રેશનીંગના ઘઉ અને ચોખાનો જથ્થો પડયો હોવાની બાતમી જિલ્લા પુરવઠા અધિકારી ઓને મળતા ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
જીઆઇડીસીના પ્લોટ ન. 50 માં આવેલ ખાનગી ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનના ઘઉં અને ચોખાના 696 જેટલા કટ્ટઆ મળી આવ્યા હતા. તેમજ આ જથ્થા અંગેના ગોડાઉન સંચાલક પાસે કોઈજ આધાર પુરાવા ન હોઈ પુરવઠાની ટીમે ટ્રક સહિત 8.64 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો. રેશનીંગ નો જથ્થો લાખણી ખાતેના સરકારી ગોડાઉનમાંથી દિયોદર જીઆઇડીસીમાં પહોંચ્યો હોવાનું અનુમાન છે.
આ અંગે દિયોદર પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી પાલનપુરને ટેલિફોનિક સૂચના મળેલી કે દિયોદર ખાતે GIDC પ્લોટ નંબર-50માં બિન અધિકૃત રીતે ઘઉનો જથ્થો પડેલો છે. આ બાતમી મળતા તપાસ માટે સૂચના આપવામાં આવી હતી. બાદમાં અમારી ટીમ અને મામલતદાર સાહેબ અને પોલીસને સાથે રાખી ગોડાઉનની તપાસ કરી હતી.
તપાસમાં સમયે ઘઉં તથા ચોખાનો જથ્થો મળી આવતા જે જથ્થાની ખરીદી અંગેના બીલો માંગતા બીલો રજૂ ન કરતાં હોવાથી ઘઉંના કટ્ટા 318 જેની કિંમત 3 લાખ 18 હજાર અને ચોખાના કટ્ટા 378 જેની કિંમત 3 લાખ 96 હજાર તથા ગોડાઉન એક ટ્રક અંદર પડેલું હતું. જેની કિંમત 1 લાખ 50 હજાર. આમ કુલ 8 લાખ 64 હજાર 900 કિંમત માલ તથા ટ્રક સીઝ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુરવઠાના અનાજ બારોબાર વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાંથી ચોથી વખત અનાજ કૌભાંડ ઝડપાયું છે. જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.