BANASKATHA : ભાભરમાં પોલીસકર્મી પર હુમલો, આરોપી તરીકે શહેર ભાજપ મહામંત્રી
ભાભર શહેરમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો. બજારમાં પોલીસકર્મી પર હુમલો થતાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
BANASKATHA : જિલ્લાના સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ભાભર શહેરમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો. બજારમાં પોલીસકર્મી પર હુમલો થતાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાભર પોલીસ મથકે પોલીસકર્મી પર હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસકર્મી તપાસ કરી રહ્યા હતા તે દરમ્યાન બની ઘટના ભાભર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરતભાઇ ચૌધરી લોકલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોમાં ફરજ બજાવે છે. જે ફરજના ભાગરૂપે તપાસમાં હતા. જે દરમ્યાન ભાભર શહેરના અસામાજીક તત્વોએ તેમની પાસે આવી કહેલું કે અમો ભાભર ના બાપુઓ છીએ. અમારૂં નામ લેવું નહીં. અમે જે પણ કરીએ તે પોલીસે ચુપચાપ જોવાનું. તને ચાર દિવસ પહેલા ફોન કરીને પણ કહેલું કે તારે વધારે હીરાવદી કરવી નહીં. તેમ છતાં તું માનતો નથી. તેમ કહી ગેરકાયદેસર મંડળી રચી પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસકર્મી પર હુમલો કરનાર આરોપીમાં શહેર ભાજપના મહામંત્રી સામેલ ભાભર શહેરમાં થયેલા પોલીસકર્મી પર હુમલામાં કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે આરોપીઓ પૈકી એક આરોપી ભાજપ શહેર મહામંત્રી છે. ભાજપ શહેર મહામંત્રી તરીકે પદ પર રહેલા પ્રવિણસિંહ મનુભાઇ રાઠોડ પણ આ હુમલામાં સામેલ હતા. જે મામલે તેમની સામે પણ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેર ભાજપના મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ભાજપ તેમજ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાભર શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધતા પ્રજા પરેશાન ભાભર શહેરમાં ધોળા દિવસે લોકો પર હુમલાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. વારંવાર થતા હુમલાઓમાં અનેક લોકો ભોગ બની રહ્યા છે. અગાઉ પણ ભાભરમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચુકી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવતાં પોલીસકર્મીઓ પણ હવે અસામાજીક તત્વોના હિચકારા હુમલા થી બાકાત રહ્યા નથી. ત્યારે સવાલ એ છે કે જે પોલીસકર્મીઓ અસામાજીક તત્વોથી લોકોની સુરક્ષા કરે છે તે જ સુરક્ષિત નથી તો લોકોની સુરક્ષા કઈ રીતે થશે.