Aravalli: પોલીસે ઝડપેલા દારુને જ સગેવગે કરવા જતા કાર પલટતા ભાંડો ફુટ્યો, LCBના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
અરવલ્લી જિલ્લામાં હજુ દારુને લઈને વિવાદ જાણે કે સામાન્ય બની ચુક્યા છે. અગાઉ શામળાજી પોલીસ (Shamlaji Police) સ્ટેશનનો દારુનો વિવાદ ચગડોળે ચઢ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં હજુ દારુને લઈને વિવાદ જાણે કે સામાન્ય બની ચુક્યા છે. અગાઉ શામળાજી પોલીસ (Shamlaji Police) સ્ટેશનનો દારુનો વિવાદ ચગડોળે ચઢ્યો હતો. બાદમાં હજુ ગત સપ્તાહે સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા દારુના જથ્થાનો પીછો કરી ઝડપ્યો હતો. જેમાં પણ અરવલ્લી LCB એ એક આરોપી ઝડપવાને લઈને વિવાદ સર્જાયો હતો. હવે તો હદ વટાવી દીધી હોય એમ જ ખુદ એલસીબીના કોન્સ્ટેબલો જ દારુ વેચવા નીકળ્યાનો મામલો સામે આવ્યો છે.
દારુના ઝડપાયેલા ઝથ્થામાંથી એક કારમાં એલસીબીના બે કોન્સ્ટેબલો (Police Constable)એ દારુનો ઝથ્થો ભરીને સગેવગે કરી વેચવાની ફિરાકમાં હતા, એ દરમ્યાન જ કાર રસ્તામાં પલટી જતા આખોય ભાંડો ફુટી ગયો હતો. જેને લઈને SPએ બંને કર્મચારીઓ સામે ગુન્હો દાખલ કરવા માટે કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરીને ફરજ મોકુફ કરી દીધા હતા.
મોડાસા એલસીબી (Modasa LCB)ના હેડ કોન્સ્ટેબલ ઈમરાનખાન શેખ અને પ્રમોદ પંડયાએ ખાનગી માણસને સાથે રાખીને એક કારમાં દારૂનો ઝથ્થો ભરી નિકળ્યા હતા. જે દારૂનો ઝથ્થો એલસીબીએ જ ઝડપ્યો હતો અને તેમાંથી તેમણે કેટલોક ઝથ્થો સગેવગે કરવાના ભાગરુપ તેઓ લઈને નિકળ્યા હતા. આ દરમ્યાન મોડાસા નજીક જ દારુ ભરેલી કાર પલટી જતા જ મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ અરવલ્લી એસપી સંજય ખરાત (Sanjay Kharat)ને થતાં તેઓએ સ્થાનિક મોડાસા રુરલ પોલીસ સ્ટેશનને તપાસ કરી ગુન્હો દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો.
ડીવાએએસપી વિશાલ રબારીએ જણાવ્યુ હતુ કે આ અંગેની જાણકારી મળી હતી કે આ પ્રકારે પોલીસના માણસો જ દારુની હેરફેર કરી રહ્યા છે. જેને લઈને ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દારુ કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને આમાં કોણ કોણ સામેલ છે તે પણ તપાસ કરવામાં આવશે. અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાંન્ચની ટીમે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 334 પેટી પકડી પાડી હતી. જે ઝડપાયેલા ઝથ્થાની ગણતરી કરી કાર્યવાહી માટે એલસીબી કચેરી ખાતે લવાઈ હતી.
જ્યાંથી ખાનગી કારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ ઈમરાન શેખ અને પ્રમોદ પંડ્યા અને ખાનગી વ્યક્તિ શાહરુખ શેખ કારમાં દારૂ ભરીને નિકળ્યા હતા. દરમ્યાન કાર વાઘોડિયા નજીક પલટી ગઈ હતી અને બન્ને પોલીસ કર્મચારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એસપીએ તપાસના આદેશ આપી દીધા હતા.
જોકે પોલીસે હજુ દારુના ઝડપાયેલા ઝથ્થામાંથી દારુ ગુમ થવા અંગે હજુ પ્રાથમિક તપાસ બાદ વધુ એક ગુન્હો નોંધે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જે મુજબ હજુ વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સુધી તપાસનો રેલો પહોંચશે. ઉચ્ચકક્ષાએથી પણ પોલીસ પર લાંછન રુપ ઘટનાના અહેવાલ મંગાતા પોલીસે હવે મુળ સુધી પહોંચવા રુપ તપાસ ગાંધીનગર રેન્જ આઈજીની દેખરેખ હેઠળ હાથ ધરી છે.
આ પણ વાંચો: Jammu Kashmirમાં જલ્દી જ યોજાશે વિધાનસભા ચૂંટણી: યુરોપિયન યુનિયન