Antelia Bomb Scare: શું કેસ ઉકેલાઈ ગયો ? જાણો શું કહેવું છે NIAનું સચિન વાઝે અને સમગ્ર ષડયંત્ર વિશે
Antelia Bomb Scare: મુકેશ અંબાણીના ઘર 'એન્ટિલિયા'ની બહારથી મળી શંકાસ્પદ સ્કોર્પિયોના રહસ્યમય કૌભાંડનો ભેદ ઉકેલાઈ ગયો છે. એનઆઈએ અધિકારીઓનું કહેવું છે કે આ આખી ઘટના પાછળ સચિન વાઝેનો હાથ છે.
Antelia Bomb Scare: મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહારથી મળી શંકાસ્પદ સ્કોર્પિયોના રહસ્યમય કૌભાંડનો ભેદ ઉકેલાતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલા વિસ્ફોટક કેસ પર એનઆઈએ અધિકારીઓ કહે છે કે આ આખી ઘટના પાછળ સચિન વાઝેનો હાથ છે અને તેણે પોતાની ખોવાયેલી ઈજ્જત પાછી મેળવવા માટે બધું કર્યું.
મુંબઈ ક્રાઇમ બ્રાંચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના પૂર્વ વડા સચિન વાઝે શરૂઆતમાં આ કેસના તપાસનીશ હતા, પરંતુ બાદમાં 8 મી માર્ચે આ કેસ એનઆઈએને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીએ અંબાણીના ઘરની બહાર એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી આવી હતી, જેમાં 20 જિલેટીન મળી આવી હતી.
એક સમાચાર સંસ્થા અનુસાર એનઆઈએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સચિન વાઝે 25 ફેબ્રુઆરીએ જાતે સ્કોર્પિયો કાર ચલાવી રહ્યા હતા અને તેની પાછળ એક ઈનોવા હતી, જે મુંબઈ પોલીસની હતી. અંબાણીના ઘરની બહાર સ્કોર્પિયો પાર્ક કર્યા બાદ સચિન વાઝે ઇનોવામાં બેસીને ચાલ્યા ગયા. જો કે અધિકારીઓ આ નિષ્કર્ષ પર કેવી રીતે આવ્યા તેની વિગતો આપી નથી.
મુંબઇમાં કલાકો સુધી દરોડા અને અનેક પુરાવાઓ બાદ એન્ટિલિયા કેસમાં તપાસ કરનારાઓએ આતંકવાદી એંગલને નકારી કાઢ્યો. એનઆઈએ કહ્યું કે અમે એક મર્સિડીઝ કબજે કરી છે અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કારનો ઉપયોગ સચિન વાઝેએ કર્યો હતો, જોકે હજી સુધી માલિકની ઓળખ થઈ નથી. બ્લેક મર્સિડીઝ કારની શોધખોળ કર્યા બાદ, એનઆઈએના અધિકારી અનિલ શુક્લાએ કહ્યું કે, ‘એનઆઈએએ બ્લેક કલરની મર્સિડીઝ બેન્ઝ કબજે કરી છે. સ્કોર્પિયો કારની નંબર પ્લેટ, 5 લાખથી વધુની રોકડ, એક નોટ કાઉન્ટિંગ મશીન અને કેટલાક કપડાં મળી આવ્યા છે. સચિન વાઝે આ કાર ચલાવતો હતો પરંતુ તેની તપાસ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાહનનો ઉપયોગ મનસુખ હિરેન દ્વારા 17 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યો હતો.
સચિન વાઝેની ઓફીસની શોધખોળ દરમિયાન એનઆઈએની ટીમને કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જેવા કે લેપટોપ, આઈપેડ અને મોબાઇલ ફોન મળી આવ્યા. એનઆઈએને કેરોસીન અને ડીઝલથી ભરેલા કેટલાક કન્ટેનર પણ મળી આવ્યા છે. એજન્સીનું માનવું છે કે સ્કોર્પિયો ડ્રાઇવર દ્વારા પહેરવામાં આવેલા પી.પી.ઇ કીટને બાળી નાખવા માટે વપરાયુ હતું. જણાવી દઈએ કે ડ્રાઈવર અંબાણીના ઘરની બહાર સીસીટીવીમાં પીપીઇ કિટમાં જોવા મળ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે સચિન વાઝેને વર્ષ 2004 માં કસ્ટોડિયલ મૃત્યુના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને છેલ્લા 16 વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વર્ષ 2020 માં ઉદ્ધવ સરકાર દ્વારા તેમને ફરીથી કાર્યભાર સંભાળવા અપાયું હતું. એવું માનવામાં આવે છે કે તેણે મુંબઈ પોલીસની નજરમાં હીરો બનવા આ કાવતરું ઘડ્યું હતું. એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે સચિન વાઝે મુંબઈ પોલીસને એવું બતાવા માંગે છે કે બોમ્બના કાવતરાને હલ કરવા માટે તે પારંગત છે. તેથી તેણે આ એંટીલિયામાં વિસ્ફોટકો મૂકવાની યોજના ઘડી. તે ફરીથી લાઈમલાઈટમાં આવવા માંગતા હતા. આ કારણોસર, તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
સમાચાર અહેવાલ અનુસાર એનઆઈએના અધિકારીએ કહ્યું કે સચિન વાઝેએ ક્યારેય વિચાર્યું ન હતું કે એનઆઈએ આ મામલાની તપાસ કરશે અને પોતાનો ખોવાયલો આદર પાછો મેળવવાની તેમની યોજના નિષ્ફળ જશે. મનસુખ હિરણનું મૃત્યુ થયું ત્યારે શંકાની સોય સચિન વાઝે તરફ ગઈ. હિરેને પોલીસને જણાવ્યું હતું કે સ્કોર્પિયો તેના ઘરમાંથી ચોરાઈ હતી. વાઝેના યૂનિટ દ્વારા હિરેનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.