Ahmedabad: પુત્રને ઠપકો આપી માતા-પિતા ઉત્તરાખંડ ફરવા ગયા, પુત્રએ ઘરે ગળે ફાંસો ખાઇ લીધો
પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી આસપાસના લોકો પાસે પ્રાથમિક પુછપરછ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક સગીર નીલ પાટીલના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા છે.
અમદાવાદ (Ahmedabad)માં રાણીપ વિસ્તારમાં એક કિશોરે પ્રેમિકા બાબતે માતા-પિતાએ ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો. મૃતક પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું સામે આવ્યુ છે. કિશોરે માતા-પિતાની ગેરહાજરીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે રાણીપ પોલીસે (Ranip police) કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કિશોર અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસમાં માતા-પિતા સાથે રહેતો હતો અને ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો.
વારંવાર પ્રેમિકા સાથે વાત કરતા અને અભ્યાસમાં પુરતુ ધ્યાન ન આપતા કિશોરના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જે બાદ તેના માતા-પિતા ઉત્તરાખંડ ફરવા નીકળી ગયા હતા. કિશોરે પિતાએ ઠપકો આપવાની બાબતને મન પર લઈ લીધી હતી. માતા-પિતાના ગયા બાદ સોમવારે બપોરે કિશોરે ગળે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.
સોમવારે બપોરે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં કોલ આવ્યો હતો કે કોઈ સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતા જ કેવલ નિવાસે પોલીસ પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. જેમાં માતા પિતાની ગેરહાજરીમાં કિશોરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતુ.
પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલને જાણ કરી મૃતદેહ નીચે ઉતારી આસપાસના લોકો પાસે પ્રાથમિક પુછપરછ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક સગીરના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા છે. જેથી રાણીપ પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમે મૃતકના માતા-પિતા સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે માતા પિતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો અને સાથે જ અભ્યાસ કરતી એક સગીરા સાથે પ્રેમમાં હતો. જેને લઈને પિતાએ ઠપકો પણ આપ્યો હોવાનું સ્વીકાર્યુ હતુ.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસે એ તપાસ શરુ કરી છે કે મૃતકના મોબાઈલ કે રૂમમાં કોઈ સ્યુસાઈટ નોટ છે કે નહીં. બીજીબાજુ પોલીસ વિગતવાર નિવેદન લઈ તપાસ કરશે કે મૃતકના માતા પિતા હકીકતમાં ઉત્તરાખંડ ફરવા જ ગયા હતા કે આ ઘટનાનું કારણ બીજુ કઈ પણ છે. મહત્વનું છે કે આ ઘટનાના 24 કલાક પહેલા જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પણ એક યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો- Surat: ગુરુવારે રજૂ થશે સુરત મહાનગરપાલિકાનું મહા બજેટ, નવા પ્રોજેક્ટ સામેલ થવાની સંભાવના ઓછી
આ પણ વાંચો- Bhavnagar: 75 ટકા કિશોરોના રસીકરણ પછી હવે કોર્પોરેશન હાંફ્યુ, અન્ય 25 ટકા કિશોરોની રસી લેવામાં નિરસતા